રાજકોટમાં પરિણીતાની હત્યાના બનાવમાં મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો
શહેરમાં મોટામવા વિસ્તારમાં આવેલા જીવરાજ પાર્ક શેરી નં.3 અંબીકા ટાઉનશીપ પાસે શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટમાં પતિએ આડાસંબંધની શંકાએ તેમની પત્નીની હત્યા નીપજાવી હતી. આ સમગ્ર બનાવમાં આરોપી પતિએ બે વીડીયો ઉતારી તેમના પાડોશીઓના ગૃપમાં શેર કર્યા હતા.
આ બનાવમાં તાલુકા પોલીસના પીઆઇ ડી.એમ. હરિપરા અને રાઇટર પ્રવિણભાઇ વસાણીએ આરોપીની ધરપકડ કરી તેમના મકાનમાં એફએસએસને સાથે રાખી સર્ચ કરતા વિદેશી દારૂની 15 બોટલ અને 11 બિયરના ટીન મળી રૂા.10535નો મુદામાલ જપ્ત કર્યો હતો. આજે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટ બી વિંગ ફલેટ નં.103માં રહેતા ગુરપ્પા મલ્લપ્પા જીરોલીએ તેમના પત્ની અંબીકાબેનની પેવર બ્લોકના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. ત્યારબાદ તેના મૃત્યુ દેહ પાસે બેસી વીડીયો બનાવ્યો હતો કે પત્ની અંબીકાને તેમના મિત્ર સાથે આડાસંબંધ છે જેથી બન્ને ભાગી જવાના હતા જે પગલે પત્ની અંબીકાને સમજાવી કે હાલ દિકરી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે તેનું ભણતર પુરૂ થયા બાદ જજે જેથી પત્ની અંબીકા માની નહીં અને તેમની હત્યા નીપજાવી હતી. આ ઘટના બાદ આરોપી ગુરપ્પાએ બે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા અને તેમને ત્યાં રહેતા લતાવાસીના ગૃપમાં વિડીયો શેર કર્યા હતા. આ ઘટના બાદ આરોપી ગુરૂપ્પા તાલુકા પોલીસ મથકમાં હાજર થઇ ગયો હતો. આ ઘટના બાદ પીઆઇ ડી.એમ. હરીપરા, પ્રવિણભાઇ વસાણી અને ડી. સ્ટાફના પીએસઆઇ પી.બી. ત્રાજીયા, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા અને સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં પરિણીતાની માથુ છુંદેલી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલે પોસ્ટમોર્ટમમાં ખસેડાયો હતો. આ ઘટનામાં મૃતક અંબીકાબેનના બહેન મહારાષ્ટ્રના ગોરેગાંવમાં રહેતા શ્રીદેવી મલીનાથ શીવફોટીની ફરીયાદ પરથી આરોપી ગુરપ્પા સામે હત્યાનો ગુનો નોંધાયો હતો.
આ સમગ્ર ઘટનામાં પીઆઇ હરિપરા અને સ્ટાફ જયારે બનાવ સ્થળે પહોંચી સર્ચ કરતા ઘરમાં રહેલા કબાટમાંથી 11 બિયર ટીન અને 15 વિદેશી દારૂની બોટલ મળી આવતા પ્રોહીબીસન એકટ હેઠળ અલગથી ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં સાંજે આરોપીને રિમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવશે.