શ્રાવણમાં ‘ફરાળ’ જાત જોખમે ચેક કરીને લેવું, મનપાનો રિપોર્ટ પરસોતમ મહિને પણ આવે!
છેલ્લા છ માસમાં 152 માંથી 94% સેમ્પલનો રિપોર્ટ બાકી, વાસી-અખાદ્ય ખોરાક ધાબડનારાઓને છૂટ્ટો દૌર
આવતા સોમવારે શિવભક્તિ કરવા માટે શ્રેષ્ઠ એવો શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે આ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરીને ભગવાનની ભક્તિ કરી પુણ્યનું ભાથુ બાંધે છે. પરંતુ રાજકોટમાં જો તમે ઉપવાસ કરીને બાદમાં ફરાળ કરવાના હોય તો તમારો ઉપવાસ પવિત્ર રહેશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. કેમ કે, શ્રાવણ મહિનો ચાલુ થતાં જ રઘવાયું તંત્ર અલગ અલગ ફરાળી વાનગીઓના નમુના લેવા તો દોડે છે પણ તેના રિપોર્ટ છ મહિને આવે છે. અને ત્યા ંસુધીમાં તો અનેક લોકોના ઉપવાસ પણ તુટી ગયા હોય છે.
હાલમાં જ મળેલા જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા કરાતી કામગીરીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, છેલ્લા છ માસ દરમિયાન રાજકોટ મનપાની ફૂડ શાખાની ટીમ અને એફએસડબલ્યુ વાન દ્વારા કુલ 152 સેમ્પલ લેવાયા હતાં. જેમાંથી આશરે 94% સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. હવે પ્રશ્ર્ન એ થાય છે કે, 94 % સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી હોય ત્યારે તમે શ્રાવણ મહિનામાં ફરાળ કરો અને છેક પરસોતમ મહિને ખબર પડે કે જે વાનગી ખાધી તે ભેળસેળ યુક્ત હતી ફરાળી ન હતી. છેલ્લા છ માસ દરમિયાન લેવાયેલા 152 સેમ્પલમાંથી ફક્ત 9 સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે. જેમાં 7 સેમ્પલ પાસ થયા છે અને બે સેમ્પલ ફેઈલ થતાં આગળ કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટમાં મનપા દ્વારા ફૂડ વિભાગના સેમ્પલ વડોદરા ખાતે ફૂડ ટેસ્ટીંગ લેબમાં મોકલવામાં આવે છે. જ્યાં 6-8 મહિના સુધી રિપોર્ટ માટે વારો આવતો નથી અને અમુક ખાસ કેસમાં નક્કી કરેલા સેમ્પલનો રિપોર્ટ મગાવી લેવામાં આવે છે. આ સેમ્પલમાં ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ જેવી કોઈ સિસ્ટમ પણ નથી. મજા પડે ત્યારે ગમે તે સેમ્પલનો રિપોર્ટ આપી દેવામાં આવે છે. પરિણામે લોકોને તહેવારોની સિઝનમાં જ અખાદ્ય અને વાસી ખોરાક ધાબડી દેનારાઓ ઉપર કોઈ કાર્યવાહી થઈ શકતી નથી