રૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું
શહેરમાં રૈયા ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામમાં આવેલી સરકારી સ્કૂલ પાસે રહેતા ધર્મજીતસિંહ રણધીરસિંહ ઝાલા નામનો 25 વર્ષનો યુવાન સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે યુવતી સહિત ત્રણ વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં શાપરમાં આવેલા ગણેશનગરમાં રહેતી યોગીતાબેન કાનાભાઈ બળવા નામની 18 વર્ષની યુવતી મધરાત્રે એસિડ પી લીધું હતું. જ્યારે રૂૂખડીયાપરામાં રહેતા તુષાર વાલજીભાઈ વાઘેલા નામના 25 વર્ષના યુવાને લાદી સાફ કરવાનું લિક્વિડ ગટગટાવી લીધું હતું. આ ઉપરાંત ગંજીવાડા મેઈન રોડ ઉપર રહેતા નીરજ જેન્તીભાઈ ગોહેલ નામના 22 વર્ષના યુવાને રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી સહિત ત્રણેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.