ખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની
ખંભાળિયા તાલુકા ઉપરાંત જિલ્લાના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાના કારણે વિવિધ પ્રકારની જણસ ઉગાડતા ખેડૂતો ઉપરાંત ફૂલની ખેતી કરતા ધરતીપુત્રોને પણ નુકસાની થવા પામી છે.
ખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદના પગલે અહીંના શક્તિનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું હતું. છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ફૂલોનું વાવેતર કરતા ખેડૂત મનસુખભાઈ કણજારીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે તેમના દ્વારા તેમના આશરે 8 વીઘા જેટલા ખેતરમાં વિવિધ પ્રકારના 8,000 જેટલા ફૂલોનું વાવેતર કર્યું હતું. થોડા સમય પૂર્વે પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ તેમણે સુવ્યવસ્થિત અને આયોજનબધ્ધ ખેતી કરીને વિવિધ પ્રકારના ફૂલોનો પાક ઉગાડ્યો હતો. પરંતુ તાજેતરના માવઠાના કારણે આ પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
તેમના દ્વારા આશરે રૂ. 7 થી 8 લાખ જેટલી કિંમતના ફૂલોનું વાવેતર કરાયું હતું. પરંતુ આ માવઠાના કારણે તેમને આ ફૂલોનો પાક મહદ અંશે નિષ્ફળ ગયાનું તેમણે જણાવ્યું હતું. સરકાર દ્વારા મગફળી વિગેરે જેવી ખેત પેદાશ માટે ટેકાના ભાવ તેમજ સહાય જાહેર કરવામાં આવી છે. પરંતુ ફૂલની ખેતીમાં આ પ્રકારે કોઈ ખાસ કોઈ વળતર મળવા પાત્ર નથી. જેથી ફૂલોની ખેતી કરતા ખેડૂતોને પણ યોગ્ય વળતર મળી રહે તે માટેની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.
