જનકપુરી આવાસ ક્વાર્ટરમાં વૃદ્ધ અકસ્માતે ચોથા માળેથી પટકાતાં મોત
શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર આવેલા જનકપુરી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા વૃદ્ધ અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાતા તેમને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ સાધુ વાસવાની રોડ ઉપર આવેલ જનકપુરી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કરસનભાઈ મનજીભાઈ કારું નામના 60 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે સવારના આઠેક વાગ્યાના અરસામાં ચોથા માળેથી નીચે પટકાયા હતા. વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ કરસનભાઈ કારુએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃદ્ધ ચાર ભાઈ બે બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.