‘દાદા’ એકશનમાં, 50 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા, 15નો દેશનિકાલ
દેહવ્યાપાર, સગીર છોકરીઓની હેરાફેરી, નકલી દસ્તાવેજો જેવા કૃત્યોમાં સંડોવણી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે સુધારગૃહમાં રહેલા બાંગ્લાદેશીઓ અંગે જવાબ માગ્યા બાદ કાર્યવાહી
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે હવે ભારતે પણ અમેરિકાનો માર્ગ અપનાવ્યો છે. ભારતે હવે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી-શોધીને તેમને ડિપોર્ટ કરવાનું શરૂૂ કર્યુ છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે. જે અંતર્ગત ગેરકાયદે રહેતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા.
ઝડપાયેલા લોકોમાંથી 15ને હાલ ડિપોર્ટ કરી દેવાયા છે.. આ 15 લોકો દેહવ્યાપાર માટે સગીર છોકરીઓની હેરાફેરી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવા જેવા કૃત્યોમાં સંડોવાયેલા હતા. આ તમામ 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવાયા છે.. જ્યારે બાકીના લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અનિશ્ચિત સમય માટે અટકાયત પર સવાલ ઊઠાવ્યા હતા..કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બાંગ્લાદેશીઓ પરત મોકલવાને બદલે સમગ્ર ભારતમાં સુધાર ગૃહોમાં લાંબા ગાળાની અટકાયતમાં રાખવા અંગે જવાબ માંગ્યો હતો. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારને વિદેશી અધિનિયમ 1946 હેઠળ પકડવામાં આવે છે અને દોષિત ઠેરવવામાં આવે છે, ત્યારે તેને તેની સજા પૂર્ણ થયા પછી તરત જ દેશનિકાલ કરવામાં આવે.
સૌથી મોટી વાત એ છે કે બાંગ્લાદેશના ઘૂસણખોરો નકલી નામો અને નકલી ઓળખ કાર્ડ મેળવીને દેશના જુદા જુદા ભાગોમાં વસવાટ કરી રહ્યા છે. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, આ સંજોગોમાં તેમને પકડીને પાછા મોકલવા એક પડકારથી કમ નથી. એક સમસ્યા એ પણ છે કે મોટા ભાગના રાજકીય પક્ષો અને તેમની રાજ્ય સરકારો બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોને દેશનિકાલ કરવાની ક્યારેય ચિંતા કરતા નથી, ક્યાંક અંદર ખાને આમા મુસ્લિમ સમુદાય નારાજ ન થઇ જાય તેવી ભીતી હોવાનું પણ માનવામાં આવે છે.
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પૈકી 104 જેટલા ભારતીયોને ડિપોર્ટ કર્યા છે, અને તેમને આર્મી પ્લેનમાં ભારત પરત મોકલ્યા છે.. ત્યારબાદથી સરકાર પર એ વાતને લઇને દબાણ વધ્યું હતું કે શા માટે ભારત સરકાર ભારતમાં વસતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પ્રત્યે કડક બનીને તેમને ડિપોર્ટ નથી કરતી.
તમામ બિનકાયદેસર લોકોને હાંકી કાઢવામાં આવશે: સંઘવી
કાર્યવાહી અંગે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ટ્વીટ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપી હતી. હર્ષભાઇ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં બિનકાયદેસર વસતા બાંગ્લાદેશ સહિતના કોઇ પણ દેશના બિનકાયદેસર રહેતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ડિપોર્ટેશન પ્રક્રિયા માટે પોલીસને નિર્દેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે વસી રહેલા નાગરિકોને હાંકી કાઢવા માટેની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવશે. 15 બાંગ્લાદેશીઓની ગુજરાતમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ તમામ બાંગ્લાદેશી કોઇ સામાન્ય નાગરિકો નહીં પરંતુ ગુનેગારો હતા. હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા જેથી તેમને તમામ ઝડપી લેવામાં આવ્યા હતા. ખોટા ડોક્યુમેન્ટ બનાવવા મામલે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા કોમ્બિંગ દરમિયાન 50 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.