ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
'ઓપરેશન સિંદૂર' બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. અગાઉ પોલીસ,મહેસુલ વિભાગના કર્મચારીઓ અને હવે રાજ્યના શિક્ષકોની રજા રદ કરવામાં આવી છે.
પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત્ત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
જ્યારે રજા પર ગયેલા રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને આપવામાં આવી છે. જેમાં અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.