જનરલ બોર્ડમાં પ્રવેશ નહીં મળે તો જોયા જેવી થશે: કોંગ્રેસ
- મનપામાં ગેરલાયક ઠર્યા બાદ ફરી કોંગ્રેસમાં આવેલા વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ આજે મનપા કચેરીએ આવી ચીમકી આપી
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના ચાર કોર્પોરેટરો પૈકી બે કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ પક્ષપલ્ટો કરતા તેમના વિરુદ્ધ પક્ષાંતરધારા હેઠળ કાર્યવાહી થયેલ પરંતુ બે દિવસ પહેલા કોર્ટે તેમને કોંગ્રેસમાં પરત લઈ લેવા અને કોંગ્રેસના કોર્પોરેટર તરીકે માન્યતા આપતા બન્ને કોર્પોરેટરોએ આગામી જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી મુકવા માટે કોર્પોરેશન ગયેલ જ્યાં તેમને મનાઈ ફરમાવતા અને જનરલ બોર્ડમાં પણ પ્રવેશ નહીં મળે તેમ જણાવતા આજે બન્ને કોર્પોરેટરોએ કોર્ટનો આદેશ કોર્પોરેશન સ્વીકારતું નથી. અને આ ભાજપનીચાલ છે તેમ કહી જનરલ બોર્ડમાં તો પ્રવેશ મેળવીને જ રહેશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
મહાનગરપાલિકાનું જનરલબોર્ડ આગામી તા. 7 માર્ચના રોજ મળનાર છે. પ્રશ્ર્નોતરી માટે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રશ્ર્નો મુકવામાં આવ્યા છે. જેમાં હાલમાં જ કોંગ્રેસના કોર્પોરેટર પદે લાયક ઠરેલા વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ પ્રશ્ર્નોતરીમાં ભાગ લેવા સેક્રેટરી વિભાગનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓને પ્રશ્ર્નોતરી મુકવા માટે અટકાવવામાં આવેલ તેમજ જનરલ બોર્ડમાં પણ પ્રવેશ નહીં મળે તેમ જણાવવામાં આવેલ પરિણામે બન્ને કોર્પોરેટરોએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરીએ ખાતે આવી જણાવેલ કે, કોર્ટના આદેશનો કોર્પોરેશન અનાદર કરી રહ્યું છે. અમે ફરી વખત કોંગ્રેસના કોર્પોરેટરની માન્યતા આપી દેવામાં આવી છે. છતાં ભાજપ દ્વારા અમને રોકવામાં આવી રહ્યા છે. કારણ કે, જનરલ બોર્ડમાં અમારા સિવાય કોઈ બોલી શકે તેમ નથી અને વિપક્ષી નેતાને દબાવી દેવાનો પ્રયાસ જર વખતે કરવામાં આવતો હોય છે. આથી જનરલ બોર્ડમાં ભાજપના કામને ઉઘાડા પાડ્યે નહીં તે માટે બોર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. પરંતુ લોકસાહી મુજબ અમે જનરલબોર્ડમાં પ્રવેશ મેળવી શકીએ તેમ હોવાથી આગામી તા. 7ના રોજ તંત્ર દ્વારા મનાઈ ફરમાવામાં આવશે છતાં પણ જનરલ બોર્ડમાં પ્રવેશ મેળવીને જ રહેશું.
સરકાર હુકમ કરે તો મળશે પ્રવેશ: તંત્ર
મનપામાં આગામી જનરલ બોર્ડમાં કોંગેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને કોમલબેન ભારાઈનેં પ્રવેશ નહીં મળે તેમજ પ્રશ્ર્નોતરી નહીં કરી શકે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જેની સામે બન્ને કોર્પોરેટરોએ પણ વિરોધ કર્યો છે ત્યારે સેક્રેટરી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોર્ટ દ્વારા બન્ને કોર્પોરેટરોને ક્વોલિફાઈવ કરી દેવામાં આવ્યા છે. પરંતુ કોર્ટનો હુકમ સરકાર પાસે પહોંચ્યા બાદ સરકારે હજુ સુધી બન્ને કોર્પોરેટરોને ક્વોલિફાઈવ કરવાનો હુકમ કરેલ નથી. આથી જો તા. 7 પહેલા સરકાર દ્વારા બન્ને કોર્પોરેટરોને માન્યતા આપતી સુચના આવશે તો તેમને જનરલ બોર્ડમાં પ્રવેશ મળશે.