મારી લોકસભા ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા નથી: અંતે બાવળિયાની સ્પષ્ટતા
- મારા રાજકીય હિત શત્રુ કે હિતેચ્છુઓ આવી ચર્ચા કરતા હશે
લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ભાજપ દ્વારા ગુજરાતની 26 પૈકી 15 લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના 11 ઉમેદવારોના નામને લઈને અટકળો થઈ રહી છે. એવામાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુંવરજી બાવળિયાના નામની ચર્ચા થતી હતી. જો કે આજે કુંવરજી બાવળિયાએ તમામ અટકળોનો અંત લાવીને લોકસભા ચૂંટણી પોતે ના લડતા હોવાનું જણાવ્યું છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામે વિવિધ વિકાસલક્ષી કામનું લોકાર્પણ કરવા આવેલા રાજ્યના પૂરવઠા મંત્રીએ લોકસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે સ્પષ્ટતા કરી હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પોતાના નામની ચર્ચા અંગે બાવળિયાએ જણાવ્યું કે, કેટલાક મારા રાજકીય શત્રુ કે હિતેચ્છુ આવી ચર્ચા કરતા હશે. જો કે મેં હાઈકમાન્ડને વિનંતી કરી છે કે, મારે રાજ્યની જનતાની સેવા કરવી છે. ભૂતકાળમાં 5 વર્ષ હું લોકસભામાં જઈ આવ્યો છું. આથી હવે મારી લોકસભા ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા લોકસભા બેઠકના 195 ઉમેદવારોના નામની જાહેરાત થઈ તે દિવસથી સુરેન્દ્રનગર બેઠક પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ચૂંટણીના મેદાનમાં ઉતારાય તેવી અટકળો થતી હતી. એવું પણ કહેવાતું હતું કે, આ માટે બાવળિયા દિલ્હી જઈને પીએમ મોદી સાથે ગુપ્ત બેઠક પણ કરી આવ્યા છે. જો કે હવે બાવળિયાએ સ્પષ્ટતા કરતાં તમામ અટકળોનો અંત આવી ગયો છે.