સેન્ટ્રલ જીએસટી ઈન્સ્પેકટરને લાંચ કેસમાં જામીન મુકત કરતી હાઈકોર્ટ
જીએસટી નંબરનું એપ્રુવલ આપવા રૂૂપિયા 5,000ની લાંચના કેસમાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટીના ઇસ્પેક્ટરની ચાર્જશીટ પછીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, ફરિયાદી ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા તેઓની ક્લાઈન્ટ કંપની માટે જીએસટી નંબર મેળવવા જીએસટી પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી હતી. જે જીએસટી નંબર એપ્રુવલ આપવા માટે ઇન્સ્પેક્ટરે અવેજ પેટે ફરિયાદી પાસે રૂૂપિયા 5 હજારની લાંચની માંગણી કરી હોવાની એન્ટીકરપ્શન બ્યુરોમાં થયેલી ફરિયાદને પગલે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સેન્ટ્રલ જીએસટી ઇન્સ્પેક્ટર પંચની હાજરીમાં ફરિયાદી પાસેથી લાંચની રકમવાળું કવર આરોપીએ પોતાના ટેબલની બાજુમાં આવેલ ટેબલ પરની ફાઈલમાં મુકાવી લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ જતા, તેની સામે જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પકડાઈ જઈ ગુનાહિત વર્તણુક આચરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઇન્સ્પેક્ટરને જેલ હવાલે કરાયેલ. ત્યારબાદ આરોપીએ જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા આરોપી દ્વારા પોતાના વકીલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ. ઉપરોક્ત જામીન અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે પ્રસ્તુત કેસમાં તપાસ પૂર્ણ થઈ ગયેલ છે,આરોપીને જીએસટી રજિસ્ટ્રેશન ગ્રાન્ટ કરવા માટે કોઈ સતા ન હોઇ જેથી લાંચની માંગણી જ શંકાના ઘેરામાં હોવાની દલીલો તેમજ રજૂ કરેલા સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત ચુકાદાઓ ધ્યાને લઈ હાઇકોર્ટેડ આરોપી રામ ઉર્ફે આલોકસિંહ ભરતલાલ મીણાને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી ગુજરાત હાઇકોર્ટના ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડિયા રોકાયા હતા.
