સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળતું માવઠું, 14નાં મોત
ડૂબી જવાથી પણ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો, આંધી-તૂફાન અને કડાકા-ભડાકા સાથે રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો, અનેક સ્થળે કરા પડયા
વાવાઝોડાના કારણે છાપરા-વૃક્ષો ધરાશાયી, અનેક સ્થળે લગ્નના સમિયાણા ઉડ્યા
ગુજરાતને માવઠાએ રીતસર ધમરોળી નાખ્યુ છે. વૈશાખ મહિનામાં મેઘરાજાનો અષાઢી મૂડ જોવા મળ્યો હોય તેમ આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 168 તાલુકામાં 1 મી.મી.થી માંડી દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો અને સવાર સુધીમા વૃક્ષો તેમજ વીજળી પડવાથી રાજયમાં 14 લોકોના મોત નિપજયા હતા જયારે અમરેલીમાં 4 અને સાયલામાં એક વ્યકિત મળી પાંચ લોકોના ડુબી જવાથી મોત નિપજયા હતા. રાજયના વિરમગામ, આણંદ, ઠાસરા, નડીયાદ, દશક્રોઇમા એક-એક તેમજ મહેમદાબાદ, દેવગઢ બારીયામા બે, ભીલોડામા બે અને વડોદરા શહેરમા ત્રણ મળી કુલ 14 લોકોના મોત નિપજયાનું સરકારમાંથી સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે.
લગ્નસરાની સિજન સમયે જ વાવાઝોડા સાથે માવઠુ ત્રાટકતા અનેક સ્થળે લગ્ન મંડપો ઉડયા હતા. અનેક સ્થળે વૃક્ષો-હોર્ડિગ તુટી પડયા હતા તો ઘણા સ્થળે છાપરા ઉડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે.
અસહય ગરમી અને આકરા તાપ વચ્ચે સૌરાષ્ટ્ર-ગુજરાતમા અનેક સ્થળે વરસાદ સાથે બરફના કરા પણ પડયા હતા. ગઇકાલે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને મોડી રાત સુધી ગાજવીજ સાથે ધમાકેદાર ઇનિંગ ચાલુ રાખતા અનેક સ્થળે ખેદાન મેદાન થયુ હતુ.
સવાર સુધીમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કપડવંજ-માણસા તથા સિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ, ભાવનગર શહેરમાં 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. વાવાઝોડાના કારણે રાજ્યભરમાં સાત વ્યક્તિઓના અલગ-અલગ ઘટનામાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટી પડયા હતા. વડોદરાના સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા અને કાટમાળ પડતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય 10 લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ-ધોળકા હાઇવે પર હોર્ડિંગ પડતાં એક રિક્ષા ચાલકનું અને આણંદ શહેરમાં દિવાલ પડતાં વૃદ્ધાનું મોત થયું છે. જયારે અરવલ્લીમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે.
ભાવનગરના સિહોરમાં 1 કલાકમાં જ દોઢ ઈંચ, ભાવનગરમાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે ગાંધીનગરના માણસામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય ખેડાના નડિયાદ-કપડવંજ-વસો, વડોદરા શહેર, બનાસકાંઠાના દિયોદર-ભાભર, આણંદના સોજીત્રા, અમદાવાદના ધોળકા, આણંદના તારાપુર, બોટાદના બરવાળા, ખેડાના મહેમદાબાદ, અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરના ચોટિલામાં પણ અડધા ઈંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કરા પણ પડયા હતા જ્યારે વડોદરામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જોકે, હજુ આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની સંભાવના છે.
ત્રણ દી’ સુધી 60 કિ.મી.ની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવવ ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદની સંભાવનાને પગલે આગામી પાંચ દિવસ તાપમાનમાં 3-5 ડિગ્રીનો ઘટાડો થાની સંભાવના છે.
માનવ મૃત્યુની વિગત
1 વિરમગામ ઠાકોર મંગાજીભાઇ
2 આણંદ કાળીબેન વસાવા
3 ઠાસરા કપિલાબેન ચાવડા
4 દે.બારીયા પટેલ શકરાભાઇ
5 નડીયાદ સોઢા મહેશભાઇ
6 મહેમદાબાદ બારૈયા રણજીતસિંહ
7 દસક્રોઇ હિમાંશુકુમાર પરમાર
8 ભીલોડા ડામોર વિશાલકુમાર દિપકભાઇ
9 ભીલોડા લાલજીભાઇ શંકરભાઇ ગેલોત
10 દે.બારીયા લબડા મંગીબેન
11 વડોદરા શહેર જયેશભાઇ મોરે
12 મહેમદાબાદ વાલીબેન ભરવાડ
13 વડોદરા શહેર પર્વત ડાંગર
14 વડોદરા શહેર ગીરીશ ચૌરે