રાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદ
સિહોરમાં 5॥, સોનગઢ- જાફરાબાદ 4, ઉના-ઉમરપાડામાં 3॥ ઇંચ વરસાદથી જળબંબાકાર
રાજ્યના 80 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ, અનેક ડેમોમાં નવા નીરની આવક શેત્રુંજી ફરી ઓવરફલો
ખેડૂતોને ભારે નુકસાનીનો ભય, મગફળીના પાથરા તણાયા, ડાંગરનો ઉભો પાક બગડવાની શક્યતા
ગુજરાત ઉપર સાયકોનીક સરક્યુલેશન સર્જાતા શનિવારથી હળવા ભારે ઝાપટાઓ વરસાના શરૂ થયા છે. જેમા ગઇકાલે વાતાવરણમા અચાનક પલટો આવતા રાજ્યના 40 તાલુકાઓમાં ભારે પવન સાથે અડધાથી 11॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 11॥ ઇંચ તોફાની વરસાદ વરસતા શિયાળાના પ્રારંભે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા. તેમજ ખેતરોમાં મગફળીના પાથરાઓ ધોવાઇ જતા તથા ડાંગના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યમાં 40 તાલુકાઓમાં ગઇકાલે 11॥ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ મહુવા પંથકમાં 26 કલાકમાં 11॥ ઇંચ તથા શિહોર 5॥ ઇંચ, સોનગઢ, જાફરાબાદ 4 ઇંચ, ઉના, ઉમરપાડા 3॥, સુત્રાપાડા, રાજુલા, પાલીતાણા, ડેડીયાપાડા, ભાવનગર શહેર 3 ઇંચ, જેસર, શાકબારા, કોડીનાર, જલાલપુર 2॥ ઇંચ, સુરત તળાજા, વ્યારા, ગણદેવી, નડીયાદ 1॥ ઇંચ તેમજ અન્ય પંથકમાં ભારે પવન સાથે ઝાપટાઓ વરસતા કપાસ, મગફળી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયાનું જાણવા મળેલ છે.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 26 કલાક દરમિયાન પોણા ઇંચ થી સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ મુશળધાર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં 11.5 ઇંચ, સિહોરમાં 5.5 ઈચ, ભાવનગર શહેરમાં 3.5 ઇંચ, પાલીતાણામાં 3.5 ઇંચ, જેસરમાં 3.5 ઇંચ, ગારીયાધારમાં 2.5 ઇંચ, તળાજા અને ઉમરાળામાં 2.5 ઇંચ અને વલભીપુરમાં 3.75 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી જિલ્લામાં કપાસના પાકને નુકસાન ની ભીતી સેવાઈ રહી છે.
ગોહિલવાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભર શિયાળે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી થઈ ગઈ છે.
જિલ્લામાં હાલમાં કપાસનો પાક ઉભો છે અને ઘણા સ્થળે વધુ મગફળીના પથરાપણ પડ્યા છે તેવા સમયે કમોસમી વરસાદથી ખેડૂતો માં ચિંતા ની લાગણી ફેલાઈ છે. મહુવામાં અને ભાવનગર શહેરમાં રવિવારની રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સોમવારની સવારે છ થી આઠ દરમિયાન પણ મહુવા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. હજુ પણ ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
આજે સવારે 8 કલાકે પૂરા થતા પહેલા 26 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 90, ઉમરાળામાં 92 ,ભાવનગર શહેરમાં 79, ઘોઘામાં 15, સિહોરમાં 135 ,ગારીયાધારમાં 69, પાલીતાણામાં 79, તળાજામાં 56, મહુવામાં 277 અને જેસર માં 89 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કેટલાક સુત્રાપાડા માં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક બગડી ગયો છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાન બારડએ આજે સુત્રાપાડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે વડોદરા ઝાલા, વાવડી પ્રશ્નાવડા,ધામલેજ,લોઢવા, કણઝોતર સહિત સહિતના ગામોમાં જઈ ખેતરોની વાસ્તવિક સ્થિતિ નિહાળી અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી.
ધારાસભ્ય ભગવાન બારડએ જણાવ્યું કે, આ ધોધમાર વરસાદથી અનેક ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર સમક્ષ આ મુદ્દે યોગ્ય રજૂઆત કરવામાં આવશે. હું વ્યક્તિગત રીતે ગાંધીનગર ખાતે જઈને પણ રજૂઆત કરીશ જેથી ખેડૂતોને યોગ્ય સહાય મળી શકે. તેમણે તાલુકા અને જિલ્લા પ્રશાસનને પણ તાત્કાલિક સર્વે કરીને નુકસાનગ્રસ્ત ખેડૂતોની યાદી તૈયાર કરવા તથા રાજ્ય સરકાર સમક્ષ સહાય માટેના પ્રસ્તાવ મોકલવા સૂચના આપી. સ્થાનિક ખેડૂતો દ્વારા ધારાસભ્ય ભગવાન બારડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેઓ વરસાદની વચ્ચે પણ ખેતરો સુધી પહોંચી ખેડૂતોની પીડા સમજી રહ્યા છે. કારણ કે ગત રાત્રે અચાનક જ ધોધમાર વરસાદ પડ્યો હતો સવારના છ વાગ્યેથી ધારાસભ્ય તાત્કાલિક સુત્રાપાડા ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આજથી ચાર દિવસ ઓરેન્જ-યલો એલર્ટ, ચક્રવાતની આગાહી
હવામાન વિભાગ દ્વારા દેશના વિવિધ ભાગોમાં તેમજ ગુજરાતમાં હળવા અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દિક્ષણ-પશ્ર્ચિમ અને મધ્ય બંગાળની ખાડી પર ચક્રવતી તોફાન તિવ્ર બનશે પવનની ગતી 100 કિલોમીટર પહોંચી શકે છે. આથી દરિયાકાંઠાના વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે ગુજરાતમાં તા.27 - સોમવાર ઓરેન્જ એલર્ટ: અમરેલી, ગીર સોમનાથ અને દીવ, તા.28 - મંગળવાર યલો એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, ભાવનગર. તા.29 - બુધવાર યલો એલર્ટ: ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, દીવ. તા.30- ગુરૂૂવાર યલો એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, દીવ સહિતના પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
