For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકનો હાહાકાર: રાજકોટમાં નિવૃત્ત પોસ્ટ માસ્તર સહિત ત્રણના હાર્ટફેઇલ

12:15 PM Jul 26, 2024 IST | Bhumika
હાર્ટએટેકનો હાહાકાર  રાજકોટમાં નિવૃત્ત પોસ્ટ માસ્તર સહિત ત્રણના હાર્ટફેઇલ
Advertisement

રાજ્યભરમાં હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો હોય તેમ દરરોજ હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટ પંથકમાં વધુ ત્રણ વ્યક્તિના હાર્ટ બેસી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નિવૃત પોસ્ટ માસ્તર, કપડાં સુકવતી પરિણીતા, અને વૃદ્ધાશ્રમના વૃદ્ધાને હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં હરિઘવા રોડ ઉપર આવેલ પુરુષાર્થ સોસાયટીમાં રહેતા હીરજીભાઈ પાંચાણીજીભાઈ પરમાર નામના 84 વર્ષના નિવૃત પોસ્ટ માસ્તર પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના બેએક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હિરજીભાઈ પરમારનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃતક હિરજીભાઈ પરમાર ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે અને હિરજીભાઈ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા હતા

Advertisement

આ બીજા બનાવમાં રાજકોટમાં મોટા વિસ્તારમાં આવેલ કૃષ્ણ અમર સોસાયટીમાં રહેતી મેઘાબેન અભયભાઈ મકવાણા નામની 26 વર્ષની પરિણીતા બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના કરે અગાસી ઉપર કપડાં સુકવતી હતી. તે દરમિયાન તેણીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મેઘાબેન કપડાં સૂકવતી હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી તેણી કપડાં સૂકવીને પરત નહીં આવતા પતિ અભય મકવાણા ઉપર જોવા જતા પત્ની બેભાન હાલતમાં પડી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં મૂળ ઉપલેટાના વતની અને હાલ રાજકોટમાં ન્યારા ગામના પાટીયા પાસે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા કાંતાબેન મહિપતભાઈ વ્યાસ નામના 75 વર્ષના વૃદ્ધા બપોરના બેએક વાગ્યાના અરસામાં વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે તેમને અચાનક હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement