હાર્ટએટેકનો ઉપાડો : વધુ ત્રણના શ્ર્વાસ થંભી ગયા
સ્વિમીંગ પુલમાં નાહવા પડેલા નિવૃત્ત RTO કલાર્ક, ચાની હોટલના સંચાલક અને એકલવાયુ જીવન જીવતા પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં સ્વિમીંગપુલમાં ન્હાવા પડેલા નિવૃત્ત આરટીઓ કલાર્ક, ચાની હોટલના સંચાલક અને એકલવાયુ જીવન જીવતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલ સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતાં નિવૃત્ત આર્મીમેન અને નિવૃત્ત આરટીઓ કલાર્ક હસમુખભાઈ વ્રજલાલ મહેતા નામના 70 વર્ષના વૃધ્ધ ગઈકાલે સવારના સાતેક વાગ્યાના અરસામાં કાલાવડ રોડ પર આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમીંગપુલમાં સ્વીમીંગ કરતાં હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે અને નિવૃત્તી બાદ છેલ્લા 17 વર્ષથી સ્વિમીંગ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. બીજા બનાવમાં જામનગર રોડ પર આવેલ મનહરપુર-1માં રહેતા અને સિવિલ હોસ્પિટલ પાસે ચાની લારી ધરાવતાં બચુભાઈ મોરભાઈ ગમારા નામના 58 વર્ષના આધેડ પોતાની ચાની રેંકડી ખાતે હતાં ત્યારે સવારનાં 9 વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજા બનાવમાં હશનવાડી પીપળીયા હોલ પાસે એકલવાયુ જીવન જીવતાં જયોતીબેન ભરતભાઈ પીઠડીયા નામના 58 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. મૃતક પ્રૌઢાને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
ગૌરીદળમાં 12 વર્ષના બાળકનું બેભાન હાલતમાં મોત
શહેરની ભાગોળે આવેલા ગૌરીદળ ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારમાં સુનિલ મળાભાઈ રાઠવા નામનો 12 વર્ષનો કિશોર સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં ડાયાભાઈની વાડીએ હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માસુમ બાળકને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતાં શ્રમિક પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક બાળકનો પરિવાર મુળ છોટા ઉદેપુરનો વતની છે. મૃતક બાળક માતા પિતાનો આધાર સ્થંભ અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને 15 દિવસ પૂર્વે જ વતનમાંથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બાળકના મોત પાછળનું કારણ જાણવા વિશેરા લઈ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.