હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
રાજકોટમાં પ્રૌઢા અને વૃદ્ધ તેમજ કેશોદના બાલાગામના વૃદ્ધ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે હ્રદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોના શ્વાસ થંભી ગયા હતા જેમાં રાજકોટમાં પ્રોઢા અને વૃદ્ધ તેમજ કેશોદના બાલા ગામના વૃદ્ધનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા ઇલાબેન યશવંતભાઈ ભીમજીયાણી નામના 52 વર્ષના પ્રોઢા સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે છએક વાગ્યાના અરસામાં હદયરોગનો હુમલો આવતા ઈલાબેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઇલાબેનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે
બીજા બનાવમાં રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા નાના લાલ મોરારજીભાઈ જેઠવા નામના 81 વર્ષના વૃદ્ધ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં કેશોદ તાલુકાના બાલાગામે રહેતા પ્રભુદાસભાઈ ધનજીભાઈ વાઢેર ગામના 80 વર્ષના વૃદ્ધ બે દિવસ પૂર્વે સવારના સાતેક વાગ્યાના સમયે પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે કેશોદ અને જુનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રભુદાસભાઈ વાઢેરની સારવાર કારગત નીવડે જે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં પ્રભુદાસભાઈ વાઢેર ત્રણ ભાઈમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.