હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
કણકોટમાં આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકે ઉપાડો લીધો હોય તેમ દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે. શહેરમાં કાલાવડ રોડ ઉપર કણકોટ ગામે આધેડ અને ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા કણકોટ ગામે રહેતા કેશુભાઈ સવજીભાઈ રાઠોડ નામના 53 વર્ષના આધેડ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કેશુભાઈ રાઠોડ પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે. કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કેશુભાઈનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઈ રહેલા કાંતિભાઈ રામાભાઈ ચૌહાણ નામના 56 વર્ષના વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.