હાર્ટએટેક : ધો.12ના છાત્ર અને BSNLના કર્મચારી સહિત ચાર લોકો ધબકારા ચુકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલોએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયાની ઘટના સામે આવી છે. જેમાં ધો.12ના છાત્ર અને બીએસએનએલના કમર્ચારી સહિત ચાર લોકોને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીકળતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ પશ્ર્ચિમ બંગાળના વતની અને હાલ પરિવાર સાથે ઘાચીવાડ વિસ્તારમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં સાદીકુલ સૈફુલઈસ્લામ મંડલ (ઉ.19) પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રે એકાએક શ્ર્વાસ ચડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનો પરિવાર છેલ્લા આઠ વર્ષથી અહિંયા મજુરી કામ કરે છે અને મૃતક યુવાન તેના માતા પિતાનો આધાર સ્થંભ એકનો એક પુત્ર હતો અને ધો.12માં અભ્યાસ કરતો હતો.
બીજા બનાવમાં ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ પી.એન.પી. કોલોનીમાં રહેતાં અને બીએસએનએલમાં ટેલિફોન ટેકનીશયન તરીકે ફરજ બજાવતાં ફીરોજભાઈ મોહમ્મદવહીદ શેખ (ઉ.51)ને સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક ફીરોજભાઈ શેખ પાંચ ભાઈમાં વચેટ હતાં અને તેને સંતાનમાં બે પુત્ર છે.
ત્રીજા બનાવમાં શહેરની ભાગોળે સરધારમાં રહેતાં મનીષભાઈ મોહનભાઈ આંબલીયાડા (ઉ.48) વહેલી સવારે છ વાગ્યાના પરોઢ્યે પોતાના ઘરે હતાં ત્યારે લોહીની ઉલ્ટી થતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતક આધેડ ત્રણ બહેનોના એકના એક ભાઈ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર છે. ચોથા બનાવમાં સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગરમાં રહેતાં કિશોરચંદ્ર મણીલાલ ખત્રી (ઉ.70) બપોરના ત્રણેક વાગ્યાના સમયે બેડી માર્કેટીંગ યાર્ડ ફલેટ નં.5 ઉપર હતાં ત્યારે છાતીમાં દુ:ખાવા ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.