મોટામવાની સૂચિત સોસાયટીના વિવાદનો 3 માસમાં નિકાલ કરવા હાઈકોર્ટનો આદેશ
રાજકોટ નજીક મોટામવા ખાતે આવેલ સર્વે નં.50 પૈકીની કરોડોની વિવાદાસ્પદ જમીન અંગે વેચાણ દસ્તાવેજની એન્ટ્રી રદ કરવા કલેકટર સમક્ષ થયેલી અપીલમાં હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતાં અરજદારે હાઈકોર્ટમાં અપીલ કરતાં હાઈકોર્ટે ત્રણ માસમાં વિવાદાસ્પદ સુચિત સોસાયટીની તકરારનો નિવેડો લાવી ચુકાદો આપવા આદેશ કર્યો છે. જ્યારે આ અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી કલેકટરે આપેલો સ્ટે યથાવત રહેશે.
રાજકોટમાં રહેતા અરજદાર ગીરધરભાઈ લાલજીભાઈ સોરઠીયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં પક્ષકાર તરીકે ગુજરાત સરકાર, રાજકોટ કલેકટર, રાજકોટના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ કિરીટસિંહ વિભાજીભાઈ જાડેજા, દિલહરબા વિભાજી જાડેજા, અનિરૂધ્ધસિંહ ચતુરસિંહ જાડેજા, વાલજીભાઈ વસંતભાઈ વાંક, કૈલાશકુમાર ભીખાભાઈ પારેખ, અશ્ર્વિનભાઈ શિવાભાઈ વેકરીયા, કશ્યપભાઈ રમેશભાઈ કોટેચા, હસમુખભાઈ ગોબરભાઈ વૈષ્નવ, અંકુરભાઈ રાઘવભાઈ મારવીયા, ચમનભાઈ મગનભાઈ સોરઠીયા, ઘનશ્યામભાઈ મનુભાઈ શિંગાળા, રમેશભાઈ મારવૈયા, ખીમજીભાઈ વસોયા, ખીમજીભાઈ રામોલીયા, અતુલ માકડીયા, જયેશ સિધ્ધપરા, ચંદુભાઈ સોજિત્રા સહિતના 32 વ્યક્તિઓ સામે અપીલ કરી હતી.
આ કેસની વિગત એવી છે કે અરજદાર ગીરધરભાઈએ મોટામવા સર્વે નં.50 પૈકીની કરોડો રૂપિયાની કિંમતની જમીનમાં વેચાણ દસ્તાવેજ કરી એન્ટ્રી પડાવી દેવા સામે કલેકટરમાં અપીલ કરી હતી. જે અપીલને ધ્યાને લઈ કલેકટરે 2 જાન્યુઆરીએ સ્ટે આપ્યો હતો અને વિશેષ સુનાવણી 10 તારીખે રાખી હતી પરંતુ 10 તારીખે સુનાવણી નહીં થતાં અરજદારે સીધા જ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં.
હાઈકોર્ટે અરજદારની અપીલને ધ્યાને લઈ જિલ્લા કલેકટરને ત્રણ માસમાં વિવાદનો નિકાલ લાવવા અને ત્યાં સુધી કલેકટરે આપેલો સ્ટેટ યથાવત રાખવા આદેશ આપ્યો છે.