મૂંછો રાખવાથી કે નામ પાછળ સિંહ લગાવવાથી ‘સિંહ’ ન થવાય : જેલના સિપાહીને હડધૂત કર્યો
રાજકોટની સેન્ટ્રલ જેલમાં જેલ સિપાઈ તરીકે નોકરી કરતાં અનુસુચિત જાતિના યુવાનને 26મી જાન્યુઆરીના ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવતા વિડિયો ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરતાં અમુક શખ્સોએ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા બાદ ફરી જેલના કર્મચારીને ચાર શખ્સોએ મુંછો રાખવાથી કે નામ પાછળ સિંહ લગાવવાથી સિંહ ન થવાય તેવી કોમેન્ટ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મોબાઈલ નંબરના આધારે યુવાનને અપમાનિત કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની મધ્યસ્થ જેલમાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા અજયસિંહ જેસીંગભાઈ રાઠોડ (ઉ.27) નામના યુવાને પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી ઈન્સ્ટા આઈડી ધરાવતાં રાજદીપસિંહ, ડી.આર.ગુજ્જુ, છત્રપાલસિંહ જાડેજા અને રાજપૂત આઈડી ધરાવતાં ચાર શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે 26મી જાન્યુઆરી ફરિયાદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પર પ્રજાસત્તાક દિન નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતો વિડિયો અપલોડ કર્યો હતો જેના પર ઉપરોકત શખ્સોએ ખરાબ કોમેન્ટ કરી હતી. ‘તું ઘેઘો થઈને દરબારની અટક લગાવે છે’ તેવી કોમેન્ટ કરી હતી.
ત્યારબાદ ફરિયાદીએ પોતાના ઈન્ટાગ્રામ આઈડી પર પોતાનો ફોટો મુકેલ હોય જેના પર આરોપીઓએ કોમેન્ટ કરી ‘મુંછો રાખવાથી કે નામ પાછળ સિંહ લગાવવાથી સિંહ ન થવાય’ તેવી ઈન્ટાગ્રામમાં કોમેન્ટ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. ‘મોટી મુંછ રાખી એમ કાંય બાપુ નહીં થવાતું હોય’ તેવી કોમેન્ટો કરી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી હતી.
આ બાબતે જ્ઞાતિના આગેવાનો સાથે વાતચીત કર્યા બાદ અંતે જેલના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.