અનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદો
હાઇકોર્ટમાં પૂર્વ IPS બિષ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડાની અરજદારની ઓળખ ચકાસવાની દલીલો ચાલી નહીં, કોર્ટનું કામ અરજદારની ઓળખ તપાસવાનું નથી : હાઈકોર્ટનું અગત્યનું અવલોકન
ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વના કેસમાં, સોરઠીયા હરેશભાઈ રમેશભાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ ક્રિમિનલ અરજી (નંબર 13245/2024) પર 7 ઓગસ્ટ 2025ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અરજદારે પોતાની ઓળખ સાબિત કરવા માટે દસ્તાવેજ રજૂ કરવાની મંજૂરી માંગી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી.
હાઈકોર્ટના ન્યાયાધીશ હસમુખ ડી. સુથારની સિંગલ બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર સોરઠીયા હરેશભાઈ રમેશભાઈના વકીલ ભાર્ગવ ભટ્ટે દલીલ કરી હતી કે અરજદાર મૃતકના પૌત્ર છે અને તેમણે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે.
જોકે, આ અરજીની વિગતો ભૂલથી રેકોર્ડ પર રજૂ કરવામાં આવી નથી. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે અરજદારની ઓળખની ચકાસણી કરવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી.
બીજી તરફ, પૂર્વ ઈંઙજ બિષ્ટ ના વકીલ કૃતિ એમ. શાહે દલીલ કરી હતી કે અરજદારે પોતાની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ રજૂ કર્યા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પહેલાં બીજી એક વ્યક્તિએ આવી જ અરજી કરી હતી, જે પછીથી નિષ્ક્રિયતાના કારણે રદ કરવામાં આવી હતી.ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે અરજદારની ઓળખ ચકાસવાની જવાબદારી કોર્ટની નથી. જોકે, અરજદારના વકીલની વિનંતીને ધ્યાને લઈને કોર્ટે અરજદારને ઓળખ સાબિત કરવા માટે એફિડેવિટ સાથે દસ્તાવેજ રજૂ કરવાની મંજૂરી આપી હતી.
સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી, અને હવે આગળની કાર્યવાહી દસ્તાવેજોની રજૂઆત બાદ નક્કી થશે.આ કેસમાં રાજ્ય સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર હાર્દિક દવે અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર શ્રુતિ પાઠકે હાજરી આપી હતી, જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા વતી પ્રતિનિધિત્વ સિનિયર એડવોકેટ આઈ. એચ. સૈયદ અને આશિષ ડગલી ઉપસ્થિત રહ્યા હતા.