કોરોનાનો મૃત્યુઆંક છૂપાવવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ સ્થાને
1,95,406 મૃત્યુ સામે માત્ર 5809 જ બતાવાયા, મઘ્યપ્રદેશ બીજા સ્થાને, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમનો ચોંકાવનારો રિપોર્ટ
2021માં કોરોના મહામારીએ ભારત સહિત વિશ્ર્વભરમાં હાહાકાર મચાવ્યો હતો હવે આવો જ હાહાકાર સરકારી રિપોર્ટના મૃત્યુઆંકના આકડાઓના કારણે જોવા મળી રહ્યો છે. ગુજરાતે આ મહામારીમાં અંદાજે બે લાખ લોકોના મૃત્યુ સામે માત્ર છ હજાર જ બતાવ્યોનો ચોકાવનારો દાવો છે. ગુજરાત આ આંકડા છૂપાવવામાં દેશભરમાં પ્રથમ સ્થાને છે.
ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુના આંકડા સાથે મોટી રમત રમાઈ હતી. દેશના તમામ રાજ્યોમાં કોરોના મહામારી સંબંધિત ડેટા છુપાવવામાં આવ્યો હોવાનો અને આ સમયગાળા દરમિયાન મૃત્યુઆંક ઓછો અંદાજીને રજૂ કરવામાં આવ્યો હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં એટલે કે 2021 માં, દેશભરમાં 3,32,468 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ ચોંકાવનારો છે. માહિતી અનુસાર, 2021 માં લગભગ 6 ગણા વધુ મૃત્યુ થયા હતા, જે દરમિયાન દેશભરમાં 19,73,947 મૃત્યુ થયા હતા.
આ રિપોર્ટ મુજબ દેશના દરેક રાજ્યમાં કોરોના દરમિયાન મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો મૃત્યુના આંકડા છુપાવવામાં સંડોવાયેલા છે. ચાલો જાણીએ કે દેશના કયા રાજ્યમાં કોરોનાથી થતા મૃત્યુ અંગે સૌથી વધુ ખોટા આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.
સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2021 માં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવામાં ગુજરાત મોખરે હતું. આ વર્ષે ગુજરાતમાં લગભગ 6 હજાર મૃત્યુનો આંકડો રજૂ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં 33.6 ગણા વધુ મૃત્યુ નોંધાયા હતા.
ગુજરાત સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, 2021માં 5809 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ હવે જે અહેવાલ બહાર આવ્યો છે તે મુજબ 2021માં ગુજરાતમાં 1,95,406 મૃત્યુ થયા હતા.કોવિડ દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઘણા રાજ્યો આગળ હતા. ગુજરાત પછી મધ્યપ્રદેશ આ બાબતમાં બીજા ક્રમે રહ્યું હતું. મધ્યપ્રદેશમાં મૃત્યુઆંક 6927 હતો, જ્યારે હકીકતમાં અહીં 1,26,774 મૃત્યુ થયા હતા. તેવી જ રીતે, પશ્ચિમ બંગાળમાં મૃત્યુઆંક 10,052 હતો, જ્યારે અહીં 1,52,904 મૃત્યુ નોંધાયા હતા. બિહારમાં પણ 10,699 લોકોના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં 1,35,391 લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર પ્રદેશમાં 14,563 મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં 1,03,108 મૃત્યુ થયા હતા.