સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, વેન્ટીલેટરમાં શોર્ટ-સર્કિટ થતા વૃધ્ધ દર્દી ગંભીર
માંગરોળના વૃધ્ધ શ્ર્વાસની બીમારી સબબ ટીબી વોર્ડમાં દાખલ હતા, મોડી રાત્રે બનેલી ઘટનામાં વૃધ્ધ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝ્યા, ઘુમાડા નીકળતા દર્દી અને સ્ટાફમાં દોડધામ
સૌરાષ્ટ્ર સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇને કોઇ બાબતે લઇ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના સર્જાતા ચકચાર મચી જવા પામી છે. ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતાં વૃધ્ધ દર્દી ગંભીર રીતે દાઝી ગયા હતા.
માંગરોળ પંથકના વૃધ્ધ શ્ર્વાસની બિમારી સબબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગત રાત્રે આ દુર્ઘટના બનતા ધુમાડા નીકળતા વોર્ડમાં દાખલ દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે સિવિલ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ દુર્ઘટના કઇ રીતે બની તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના માંગરોળમાં કાજીકા ફળીયામાં રહેતા મહમ્મદ હુસેન અલ્લારખાભાઇ પંજા (ઉ.વ.65) નામના વૃધ્ધને શ્ર્વાસની બિમારી હોય. ગત તા.14ના રોજ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા તેમને ટ્રોમા સેન્ટરના બીજા માળેલ આવેલા ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટીલેટર આપવામાં આવ્યુ હતું. દરમિયાન ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તેમને મોઢા ઉપર ગરમ લાગતા જાગી ગયા હતા અને જોતા વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થયુ હોય અને વેન્ટીલેટરનુ માસ્ક તેમના મોઢા ઉપર લગાવેલુ હોય જેથી તેઓ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા.
દરમિયાન વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડા નીકળતા વોર્ડમાં દાખલ અન્ય દર્દીઓ અને સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. દર્દી મહમ્મદ હુસેન મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલીક બર્ન્સ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા અને તબિબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે બનેલી દુર્ઘટનાને પગલે સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા, ઇન્ચાર્જ આરએમઓ ડો. દુસરા સહિતના અધિકારીઓ ટીબી વોર્ડમાં દોડી ગયા હતા અને વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ કેવી રીતે થયુ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.