સરકાર ઝૂકી, સોલાર પેનલ અને બેટરી મેન્યુફેકચરીંગમાં ચીની રોકાણની છુટ
આ ક્ષેત્રમાં ઓછી કિંમતે ઉત્પાદન કરવું એ ભારત માટે મોટો પડકાર
છેલ્લાં થોડાં વરસોથી ચીની રોકાણ પરના સખત વલણ પર ભારત હવે થોડી ઢીલ મૂકી શકે છે. ભારત તરફથી કેટલાંક સેક્ટર્સમાં ચીની રોકાણને મંજૂરી આપી શકાય છે. એક મીડિયા એજન્સીના રિપોર્ટ અનુસાર, આ મંજૂરી સોલર પેનલ, બેટરી મેન્યુફેક્ચરિંગ જેવાં સેક્ટર્સમાં આપવામાં આવી શકે, જે વ્યૂહાત્મક રીતે વધુ સંવેદનશીલ નથી. આ ઉપરાંત ભારતમાં અત્યારે આ સેક્ટર્સમાં એક્સ્પર્ટ્સની પણ જરૂૂરિયાત છે. ખાસ કરીને ઓછી કિંમતે ઉત્પાદન કરવું એ એક મોટો પડકાર છે, જેને ચીની કંપનીઓની એન્ટ્રીથી દૂર કરી શકાય તેમ છે.
બે સરકારી સૂત્રોના આધાર ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં નિષ્ણાતોની ઘટ છે. તેના લીધે ઘરેલુ સ્તરે મેન્યુફેક્ચરિંગ નબળું છે. તેને ધ્યાનમાં રાખતાં ઉત્પાદનમાં વધારો કરવા અને સ્પર્ધાત્મક વાતાવરણ માટે ચીની કંપનીઓને મંજૂરી આપી શકાય છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ગલવાનમાં 2020માં ભીષણ સંઘર્ષ બાદથી બંને દેશ વચ્ચેના સંબંધમાં નવેસરથી તણાવ ઊભો થયો હતો. ભારતે જવાબી કાર્યવાહીમાં ઘણી ચીની કંપનીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. જેમાં એવી ઘણી ચીની કંપનીઓ પણ સામેલ હતી જે એપ્સ બનાવતી હતી.જોકે, હવે સૂત્રોનું કહેવું છે કે સરકાર એવાં કેટલાંક સેક્ટર્સમાંથી સ્ક્રૂટિની હટાવી દેવા માગે છે.
જે ઓછી સંવેદનશીલ છે. તેવાં સેક્ટર્સમાં ચીની કંપનીઓને એન્ટ્રી આપી શકાય તેમ લાગે છે. જો એવું થયું તો 2020 બાદ ચીન સાથેના આર્થિક સંબંધ સુધારવાની દિશામાં ભારતનું આ પહેલું પગલું હશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે ભલે સોલર અને બેટરીઝમાં ચીની કંપનીઓને એન્ટ્રી મળે પણ ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ સેક્ટર્સમાં મુકાયેલો પ્રતિબંધ ચાલુ રહેશે. જોકે, આ મામલે હજુ સુધી કેન્દ્ર સરકાર કે તેના કોઈ વિભાગ તરફથી ઔપચારિક નિવેદન નથી કરાયું.