સરકારી-ગ્રાન્ટેડ શાળાના ધો.10-12ના છાત્રોની કારર્કિદી અધ્ધરતાલ ફેબુ્રઆરીમાં બોર્ડની પરીક્ષા, શિક્ષકોની ઘટ, અભ્યાસક્રમ કેમ પૂરો થશે?
નવી શિક્ષણ નીતિ મુજબ આ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાથી લેવામાં આવશે. શિક્ષણ વિભાગની જાહેરાતથી શાળા સંચાલક મંડળ મૂંજવણમાં મૂકાઇ ગયુ છે. મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો અપૂરતા પ્રમાણમાં છે. અભ્યાસક્રમ હજુ અધૂરો છે અને શિક્ષકોની ઘટતા કારણે ફેબ્રુઆરી પહેલા ધો.10 અને 12નો અભ્યાસ ક્રમ કઇ રીતે પૂરો કરવો તે મૂંજવણ અનુભવી રહ્યા હોય સરકાર દ્વારા વહેલી તકે જ્ઞાન સહયકોને જિલ્લાની ફાળવણી કરવામાં આવે તે માટે રજૂઆત કરાઇ છે.
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 9 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન થાય તે માટે વહેલી તકે જ્ઞાન સહાયકોની ફાળવણી કરવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરાઈ છે. આગામી એક-બે દિવસમાં જિલ્લાઓમાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવા સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં દર વર્ષે માર્ચમાં લેવામાં આવતી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા આ વખતે ફેબ્રુઆરી માસમાં જ લેવાનું આયોજન કરાયું છે. જોકે, એક બાજુ બોર્ડની પરીક્ષા વહેલી શરૂૂ કરવાનું નક્કી કરાયું છે ત્યારે બીજી બાજુ રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શિક્ષકો વગર જ પૂર્ણ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજે 9 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાનો દાવો સંચાલક મંડળ દ્વારા કરાયો છે. શિક્ષકોની ખાલી પડેલી જગ્યામાં જ્ઞાન સહાયકની નવી ભરતી કરવાની પ્રક્રિયા જ આખી ખોરંભે ચઢી છે. હજુ સુધી જ્ઞાન સહાયકની ભરતી અંગે કોઈ જાહેરાત અપાઈ નથી.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે પ્રવાસી શિક્ષક યોજના રદ કરી બે ગણા પગાર સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની ભરતી કાયમી શિક્ષકની જેમ જ કેન્દ્રીયકૃત રીતે હાથ ધરાઈ હતી. જેમાં મેરિટના આધારે ઉમેદવારોને સ્કૂલોની ફાળવણી કરાઈ હતી.
આ વખતે સત્ર શરૂૂ થતા જ જે જ્ઞાન સહાયક ફરજ બજાવતા હતા તેઓને રિન્યુ કરી દેવાયા હતા, પરંતુ રાજ્યની ઘણી સ્કૂલોમાં જ્ઞાન સહાયકો હાજર થયા નહોતા અથવા તો થયા બાદ પણ જતા રહ્યાં છે. આ સિવાય ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં અંદાજે 7 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું ખુદ શિક્ષણ વિભાગ સ્વીકારી રહ્યું છે. એ સિવાય વય નિવૃત્તિના આધારે પણ ચાલુ વર્ષે અંદાજે 2 હજાર જગ્યા ખાલી પડશે. આમ, કુલ 9 હજાર જગ્યા ખાલી હોવાનું સંચાલક મંડળનું માનવું છે. જોકે, આ ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ન ખોરવાય એ માટે હજુ સુધી કોઈ જ વ્યવસ્થા કરાઈ ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેથી સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને આગામી એક-બે દિવસમાં સ્કૂલોમાં જ્ઞાન સહાયકોની ફાળવણી કરવામાં આવે તેવી માગ કરી છે.