મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ
વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે. વધુમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રને 21મી સદીના ભારત માટે ગેમ ચેન્જર ગણાવતા મંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રમાં યુવાનો માટે પુષ્કળ તકો છે અને તે વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. શ્રી સિંહે વિકસિત ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી લેવા હાકલ કરી હતી.
તેમણે લોજિસ્ટિક્સનાં મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે જેટલી મજબૂત લોજિસ્ટીક સેવાઓ, તેટલી જ મજબૂત આપણી સીમાઓ રહે છે. દેશના કોઈ એક ભાગમાં તૈયાર થતાં સંરક્ષણ ઉત્પાદનો કે સૈનિકો માટેની ખાદ્ય સામગ્રી આપણે સમયસર સીમા પર પહોંચાડીએ છીએ, ત્યારે સીમા પ્રહરીઓનું મનોબળ મજબૂત બને છે. સરકારની પહેલો પર પ્રકાશ પાડતા, સિંહે કહ્યું કે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા અને મિશન મોડ યોજનાઓના અમલીકરણ જેવી પહેલોથી લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ડેટા-આધારિત નિર્ણય લેવામાં પ્રોત્સાહન મળ્યું છે.
દીક્ષાંત સમારોહને સંબોધન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં ચાન્સેલર અશ્વિની વૈષ્ણવે છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી કે એક વર્ષમાં જ રેલ નેટવર્કમાં 5,300 કિમીનું વિસ્તરણ થયું છે, જ્યારે ટનલ બાંધકામનો વ્યાપ 368 કિમી સુધી પહોંચ્યો છે.