દમણમાં એનઆરઆઇના ઘરમાંથી એક કરોડનું સોનું, 8 હજાર પાઉન્ડની ચોરી
ઇંગ્લેન્ડ રહેતો પરિવાર વતન આવ્યો હતો, ઘર સામે આવેલા મંદિરની પણ દાનપેટી તોડી રોકડ ઉઠાવી ગયા
કેન્દ્રશાસિત પ્રદેશમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં મોટી દમણના ટંડેલ પરિવારના ઘરમાં ત્રાટકેલા ચોરોએ આશરે ₹1 કરોડનું સોનું અને 8,000 યુ.કે. પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઈંગ્લેન્ડ રહેતો પરિવાર વતન મોટી દમણમાં આવ્યો હતો અને તેના ઘરે ચોરી થઈ હતી.
ચોરોએ માત્ર ઘરમાં જ નહીં, પરંતુ ઘરની સામે આવેલા એક મંદિરમાં મૂકેલી દાનપેટી તોડી રોકડ રકમની પણ ચોરી કરી છે. આ ઘટનાએ દમણમાં ભયનો માહોલ સર્જી દીધો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મોટી દમણના મંદિર શેરીમાં ઇશ્વરભાઇ ગોપાલભાઈ ટંડેલ નામના રહીશનું ઘર આવેલું છે. ઘરના મોભી સહિતનો પરિવાર લંડનમાં સ્થાયી થયો હોય અને હાલ તેઓ ફરવા અર્થે ઈન્ડિયા આવ્યા હોય, ત્યારે 27 ફેબ્રુઆરી-25ના રોજ રાત્રે 2 કલાક પછીના કોઈ સમયે અજાણ્યા ચોર તસ્કરો બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડી ઘરમાં પ્રવેશી બેડરૂૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી અંદાજિત 1 કરોડની આસપાસનું સોનું અને રોકડા 8 હજાર યુ.કે. પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ વહેલી સવારે પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી જરૂૂરી કાર્યવાહી હાથ ધર હતી, સાથે ચોરોનું પગેરું મેળવવા વલસાડ એલ.સી.બી. ટીમ અને ડોગ- સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, જ્યાં પોલીસ દ્વારા જરૂૂરી તપાસ કાર્ય કર્યા બાદ ઘરમાલિક ઇશ્વરભાઇ ટંડેલની ફરિયાદના આધારે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અજાણ્યા ચોર તસ્કરોએ ફક્ત ઘર જ નહીં, પણ ઘરની બરાબર સામે આવેલા શ્રી રણછોડરાયજી મંદિરમાં પણ પ્રવેશ કરી એમાં મૂકેલી દાનપેટીને તોડી અંદરથી 20થી 25 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ સવારે મંદિરમાં દર્શનાર્થે આવતા શેરીના લોકો જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતાં મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.