કચરા ગાડીના ડ્રાઇવરને ચાલુ ટ્રકે હાર્ટએટેક આવતાં મોત
શીતલપાર્ક પાસે ટ્રક ડિવાઇડર ટપી દીવાલમાં ઘૂસી જતા લોકોએ ચાલકને હોસ્પિટલમાં ખસેડ્યો પણ સારવાર કારગત ન નિવડી
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે રાજકોટમાં 15મી ઓગષ્ટના દિવસે ચાર વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલપાર્કથી આયોધ્યા ચોક વચ્ચે આરએમસીની કચરા ગાડીના ચાલકને ચાલુ ગાડીએ હાર્ટએટેક આવતા ચાલકે ડ્રાઇવિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર ટપી દિવાલમાં ઘૂસી ગયો હતો. ચાલકને એકઠા થયેલા લોકોએ તાત્ત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નીપજ્તા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરા મેઇન રોડ ઉપર સાગરપાર્કમાં રહેતા અને આરએમસીમાં કચરાની ગાડીમાં હંગામી ધોરણે ડ્રાઇવર તરીકે નોકરી કરતા ગોવિંદભાઇ અમરશીંભાઇ સુરેલા નામના 54 વર્ષના આધેડ ગઇકાલે સવારના અરસામાં કચરાની ગાડી લઇને શીતલપાર્કથી અયોધ્યા ચોક તરફ જતા હતા ત્યારે ચાલુ ગાડીએ ગોવિંદભાઇ સુરેલાને હૃદયરોગનો હુમલો આવી જતા ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમવતા કચરા ગાડી ફૂટપાથ ટપી દિવાલમાં અથડાઇ હતી.
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને બેભાન હાલતમાં ઢળી પડેલા ચાલક ગોવિંદભાઇ સુરેલાને તાત્ત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગોવિંદભાઇ સુરેલાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક ગોવિંદભાઇ સુરેલા ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતા. તેમને સંતાનમાં ચાર પુત્રી અને બે પુત્ર છે. ગોવિંદભાઇ સુરેલા આરએમસીની કચરા ગાડીમાં હંગામી ધોરણે ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનો આર્થિક ગુજરાન ચાલવતા હતા. ગોવિંદભાઇ સુરેલાનું ચાલુ ટ્રકે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.