વિમાન દુર્ઘટનામાં ભાણવડ ગામના હતભાગી માતા-પુત્રની સ્મશાન યાત્રા નીકળી
મોટી સંખ્યામાં ગ્રામજનો જ્ઞાતિજનો જોડાયા: અશ્રુઓનો દરિયો ઉભરાયો
ગત તારીખ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાન ટેકઓફ થયાના થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર ખાતે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 240 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. જેના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. આ પ્લેનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માતા-પુત્ર પણ સવાર હતા. જેઓ પણ આ પ્લેન દુર્ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ રીતે અવસાન પામ્યા હતા.
જેમાં લંડન ખાતે રહેતા હરીશભાઈ ગોઢાણિયાના એકાદ માસ પૂર્વે ભારત આવેલા ધર્મપત્ની રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા ત્રણ વર્ષે માસુમ પુત્ર ક્રિયાન્સના અકાળે અવસાન થયાના આ કરુણ બનાવ બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરી, પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી. ઉપરાંત મૃતકોના મૃતદેહને લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે નોડલ તરીકે ખંભાળિયાના પ્રાંત અધિકારી અને ભાણવડના ચીફ ઓફિસરની સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે ડોક્ટર ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવ્યું હતું.
જેમાં મૃતક માતા પુત્રના ડીએનએ મેચ થતાં મૃતકના પરિવારને મંગળવારે રાત્રે મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. જે બુધવારે તેમના પરિવારજનો સાથે મેડીકલ ઓફિસર, પોલીસ એસ્કોર્ટ સાથે ગઈકાલે બુધવારે ભાણવડ ખાતે પહોંચતા હતભાગી રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા ક્રિયાન્સ હરીશભાઈ ગોઢાણીયાના અંતિમ સંસ્કાર કરાયા હતા.આ દુ:ખદ વેળા સમયે ખંભાળિયાના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ સાથે મોટી સંખ્યામાં પરિવારજનો, જ્ઞાતિજનો તેમજ ગ્રામજનો દ્વારા દિવંગત રિદ્ધિબેન તથા ક્રિયાન્સ હરીશભાઈ ગોઢાણીયાની અંતિમ યાત્રામાં જોડાઈ અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુ:ખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી.