આજે રાજકીય સન્માન સાથે કરાશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યારે આજે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધનને લઈને આજે એટલે કે 16 જૂને એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરેકલો રહેશે.સ્મશાન યાત્રામાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે રાજકોટ આવી રહ્યા છે.
સવારે 11 વાગ્યે ગાંધીનગર નિવાસ સ્થાનેથી પાર્થિવ દેહનો સ્વીકાર કરવા માટે તેમનો પરિવાર રવાના થશે. 11.30 વાગ્યે પાર્થિવ દેહનો સ્વીકાર કરશે. 11.30 થી 12.30 સિવિલ હોસ્પિટલથી એરપોર્ટ જવા રવાના થશે. 12.30 તેમના પાર્થિવ દેહને લઇને વિમાન રાજકોટ જવા રવાના થશે.
બપોરે 2 થી 2.30 રાજકોટ એરપોર્ટથી ગ્રીન લેન્ડ ચોકડી સુધી પહોંચશે. બપોરે2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
સાંજે4:00 થી 5:00 વાગ્યે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે. સાંજે5:00 થી 6:00 વાગ્યે નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે. સાંજે 6:00 વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.