ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમો
ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત અને રાજસ્થાનના 50 કિલોમીટર સુધીના 7 જિલ્લાઓને આવરી લે છે. આ વીમા કવચ હેઠળ, જો કોઈ પદયાત્રીને માર્ગ અકસ્માત થાય તો તેમને કોર્ટ દ્વારા નક્કી કરાયેલું વળતર મળશે, જે શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રત્યે મંદિર ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અંબાજી ખાતે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા માટે, અંબાજી મંદિર ટ્રસ્ટે પદયાત્રીઓ માટે ₹10 કરોડનો અકસ્માત વીમો લીધો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ આ માહિતી આપી હતી. આ વીમા કવચ ગુજરાત ઉપરાંત રાજસ્થાનની 50 કિલોમીટર સુધીની સરહદને પણ આવરી લે છે, જેથી તમામ પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ગયા વર્ષે રૂા.3 કરોડનું વીમા કવરેજ હતું, જેને આ વર્ષે રૂા.10 કરોડ સુધી વધારવામાં આવ્યું છે. મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે આ મેળામાં ભાગ લેનારા પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડ સુધીનો થર્ડ પાર્ટી લાયેબિલિટી વીમો લેવામાં આવ્યો છે. આ વીમાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતનો ભોગ બનેલા પદયાત્રીઓ અથવા તેમના પરિજનોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
આ વીમો માત્ર અકસ્માતમાં થયેલી ઈજાઓ કે મૃત્યુને જ આવરી લે છે, વાહનો વચ્ચેના અકસ્માતનો સમાવેશ થતો નથી.બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર, આ વીમા કવરેજમાં માત્ર ગુજરાતના પદયાત્રીઓ જ નહીં, પરંતુ રાજસ્થાનથી આવતા ભક્તોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ માટે, અંબાજીથી રાજસ્થાનની સરહદના 50 કિલોમીટર સુધીના વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાતના સાત જિલ્લાઓને પણ આ વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેથી યાત્રા દરમિયાન કોઈ પણ જગ્યાએ અકસ્માત થાય તો વળતર મળી શકે. અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિના પરિવારે વળતર મેળવવા માટે કોર્ટમાં ક્લેમ કરવાનો રહેશે. કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી રકમ ક્લેમધારકના પરિવારને ચૂકવવામાં આવશે. આ નિર્ણય લાખો માઈભક્તોની સુરક્ષા અને આસ્થાને વધુ મજબૂત બનાવે છે.
એસટી નિગમ 5500 વધારાની બસો દોડાવશે, ખાસ મિનીબસ મુકાશે
અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે. આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂૂટ્સ પર દોડશે, જેથી રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે. આ ઉપરાંત નજીકના મુખ્ય સ્થળોથી અંબાજી આવવા સ્પેશિયલ મિની બસોની વ્યવસ્થા પણ કરાઇ છે. ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 બસો, દાંતાથી પાલનપુર માટે 20 બસો દોડાવવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સગવડ માટે 24સ7 GPS મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઈન/ક્યુ, જાહેર શૌચાલય અને પીવાના પાણીની સુવિધા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરવા માટે 4000 કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે.