કાયદો-વ્યવસ્થા જાળવવા અને તરણેતરના મેળાની સુરક્ષા માટે પાંચ શખ્સો તડીપાર
ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. તેમણે દારૂૂ, જુગાર અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા 5 શખ્સોને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા છે. આ કાર્યવાહી ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 56(M) અને 57(N) હેઠળ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેકટરે વિભાગીય પોલીસ અધિક્ષક મારફતે દરખાસ્તો મોકલી હતી. તમામ કેસોની સુનાવણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તડીપાર કરાયેલા શખ્સોમાં ચોટીલાના નવઘણભાઇ રમેશભાઇ કુનતીયા અને ભાવેશભાઇ છગનભાઇ જોગરાજીયા તેમજ નાની મોલડીના રમેશભાઇ મશરુભાઇ સાડમીયા, તુલશીદાસ ઉર્ફે કુકો આણંદપુર દુદરેજીયા અને હરદિપભાઇ શાંતુભાઇ ઘાંઘલનો સમાવેશ થાય છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આગામી તરણેતર મેળો છે, જે 26થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન યોજાશે. આ વિશ્વવિખ્યાત મેળામાં દેશ-વિદેશથી લાખો લોકો આવે છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. પોલીસ ઇન્સ્પેકટર ચોટીલા અને નાની મોલડીને આ શખ્સોને જિલ્લા બહાર મોકલવાની કામગીરી સોંપવામાં આવી છે. આ પગલાથી ચોટીલા સબ ડિવિઝનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેશે અને લોકો સુખ-શાંતિથી રહી શકશે.