મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇ
મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA ) ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે વરસાદને પગલે એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાયા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ભારે વરસાદ અને ઓછી દૃશ્યતાને કારણે અનેક ફ્લાઇટ્સને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની મંજૂરી ન મળતાં નજીકના શહેરો તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ખાસ કરીને પાંચ ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી, જેમાં દિલ્હી-મુંબઈ, ભુવનેશ્વર-મુંબઈ, સ્પાઇસ જેટની દુબઈ-મુંબઈ, સ્પાઈસ જેટની મુંબઈ-કંડલા અને ઇન્ડિગોની વડોદરા-મુંબઈ ફ્લાઇટનો સમાવેશ થાય છે. અન્ય ફ્લાઇટ્સને અમદાવાદ અને હૈદરાબાદ તરફ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈમાં સતત ભારે વરસાદને કારણે શહેરના ઘણાં ભાગોમાં પાણી ભરાયા છે, જેની અસર એરપોર્ટના રનવે અને ઓપરેશનલ એરિયા પર પણ જોવા મળી છે. મુંબઈમા ભારે વરસાદને કારણે દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર પર અસર પડી હતી. મુસાફરોને ભારે હાલાકી, અનેક ટ્રેનો મોડી પડી કેટલીકને ટૂંકાવવામાં આવી કેટલીકનો રૂૂટ બદલવો પડ્યો હતો.