પાંચ ડાઘિયાઓએ છ વર્ષના માસૂમ બાળકને ફફેડી ખાધો
એમ્બ્યુલન્સ આવવામાં થોડો સમય વીતી જતાં સ્થળ પર જ દમ તોડી દીધો
અનેક લોકો હાજર હતા છતાં કોઇએ મદદ કરી નહીં; માતાનો કરૂણ વલોપાત
રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોર અને શ્વાનોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનોએ અનેક લોકોને ફાડી ખાધા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં શ્રમિક પરિવારનું 6 વર્ષનું બાળક ઘર પાસે રમી રહ્યું હતું ત્યારે અચાનક આવી ચડેલા શ્વાનના ટોળાંએ તેને ફાડી ખાતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ વતન જવા નીકળેલા પિતા અમદાવાદથી પરત ફર્યા હતા. આજે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારના પટના ગામના વતની અને છેલ્લા પાંચ વર્ષથી શાપર ગેટની અંદર આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા અજીતકુમાર યાદવનો 7 વર્ષીય પુત્ર આયુષ ગઈકાલે સાંજે ઘર પાસે રમતો હતો. તે દરમિયાન આવી ચડેલા પાંચથી વધુ શ્વાનના ટોળાંએ બાળક ઉપર હુમલો કરી આખા શરીરે બચકા ભરી લીધા હતા. માથાના વાળથી લઈ પગના નખ સુધીનું શરીર ફાડી ખાતા બાળક લોહીલુહાણ થઇ ગયો હતો. બાળકની ચીસો સાંભળી દોડી આવેલ પરિવારજનોએ આયુષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
પરંતુ બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો. માસુમ બાળકના મોતથી શ્રમિક પરિવારમાં અરે રાતી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક આયુષ બે ભાઈમાં નાનો હતો અને બનાવની જાણ થતાં જ વતન જવા નીકળેલા પિતા અમદાવાદથી પરત ફર્યા હતા. મૃતક બાળકની માતા રુહી કુમારીએ ભાંગી પડેલા અવાજે જણાવ્યું હતું કે, અમે અહીં મજૂરી કરવા આવ્યા છીએ. મારું બાળક રમતું હતું અને અચાનક ક્યાંથી આટલા બધા કૂતરા આવી ગયા અને મારા બાળકને પકડી લીધું. અમે બચાવવા દોડ્યા, પણ ત્યાં સુધીમાં તેને ખૂબ જ ઇજાઓ થઈ ગઈ હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા, પણ તે બચી ન શક્યો. ત્યાં ઘણા બધા લોકો હાજર હતા પણ કોઈએ મદદ કરી ન હતી. એટલું જ નહીં પરંતુ 108ની ટીમ સમયસર નહિ આવતા બાળકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમારો દીકરો જ અમારો સહારો હતો, હવે અમે કોના ભરોસે જીવીશું? આટલું કહેતા તેમની આંખોમાંથી દડદડ આંસુ વહી ગયા હતા.
શ્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે ઝુંબેશ જરૂરી
આ ઘટનાએ ફરી એકવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોના વધતા જતા ત્રાસ અને તેના નિરાકરણ માટે તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં જ્યાં શ્રમિકો મોટી સંખ્યામાં રહે છે અને તેમના બાળકો બહાર રમતા હોય છે, ત્યાં આવા હુમલાઓનું જોખમ વધુ હોય છે. તંત્ર દ્વારા રખડતા શ્વાનોના વંધ્યીકરણ અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે તે હવે જરૂરી બન્યુ છે.