ધોરાજીમાં મગફળી કેન્દ્રમાં લાગેલી આગ, ખરીદી માટે રાખેલા બારદાન સળગી ગયા
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટેના કેન્દ્રમાં ગંભીર આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં આ ખરીદ કેન્દ્ર કાર્યરત હતું, જ્યાં મગફળીના સંગ્રહ માટે રાખવામાં આવેલા બારદાનના વિશાળ જથ્થામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી તેની અસર જોવા મળી હતી. આ દુર્ઘટનામાં લાખો રૂૂપિયાના કિંમતી બારદાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે, આગની જાણ થતાં જ ધોરાજી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમના જવાનોએ તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂૂ કર્યા હતા, પરંતુ બારદાનનો જથ્થો વધુ હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. લાંબા સમયની જહેમત બાદ આગને આગળ વધતી અટકાવી શકાય છે, પરંતુ બારદાનનો મોટો ભાગ ત્યારે સુધીમાં નાશ પામ્યો હતો.
આ ઘટનાને કારણે ખરીદ કેન્દ્રના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતને ભારે નુકસાન થયું છે.
મગફળી ખરીદ કેન્દ્રના બારદાનના જથ્થામાં આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે અંગેની સચોટ માહિતી મળી શકી નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ માનવીય ભૂલને કારણે આગ લાગી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.