ભાવનગરમાં ડોકટરના ઘરમાં આગ, સગીર દાઝ્યો, 8ના શ્ર્વાસ રૂંધાયા
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે તબીબના બંગલામાં શોર્ટ સર્કીટથી આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એસી ફાટતાં કાર્બન ડાયોકસાઇડ ફેલાતા ડોકટરનો પરિવાર ઝપટે આવી ગયો હતો અને આગમાં એક બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. જયારે અન્ય 8 લોકોને ગુંગળામણ થતા હોસ્પીટલે ખસેડાયેલ છે. બનાવની જાણ થતા ફાયર બિગ્રેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્રણ ગાડીથી છંટકાવ કરી ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં ઘરવખરી સળગી જવા પામી છે.
આ બનાવથી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે 5.26 કલાકે શહેરનાં ઘોઘા સર્કલ વિસ્તારમાં ટીવી કેન્દ્ર નજીક રહેતા શહેરનાં જાણીતા બાળ રોગના નિષ્ણાંત તબીબી ડો.ચંદન નરવાણીનાં મકાનમાં આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એસી ફાટતા તેમાંથી કાર્બન ડાયોકસાઇડ વાયુ નિકળતા ઘરમાં રહેલ પરિવારજનો ગુણળાઇ જવા લાગ્યા હતા. જયારે હીત નરવાણી નામનો 15 વર્ષનો સગીર દાઝી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગની લપેટમાં આવેલ ડોકટર પરિવારના 9 સભ્યોને સારવાર માટે હોસ્પીટલે ખસેડેલ.
આગમાં ઘરની તમામ ઘરવખરી સળગી જવા પામી છે. નવ સભ્યો પૈકી ચારને પ્રથમ સીવીલ હોસ્પીટલમાં અને બાદમાં તમામને બજરંગદાસબાપા આરોગ્યધામમાં ખસેડાયેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ પરિવારનાં સભ્યોને તકલીફ થતા તેને સારવાર આપવામાં આવી રહી છે.
આ બનાવમાં ડો.ચંદન નરવાણી ઉ.વ.31, પ્રીતીબેન નરવાણી ઉ.વ.35, હરગુન નરવાણી ઉ.વ.4, નીતીન નરવાણી ઉ.વ.41, સીમાબેન નરવાણી ઉ.વ.35, સુનીતાબેન નરવાણી ઉ.વ.69, આરવી નરવાણી ઉ.વ.16, મેસન્સ ઉ.વ.11 તેમજ હિત નરવાણી ઉ.વ.15 દાઝી ગયેલ છે.
ભાવનગર ફાયર બિગ્રેડના સ્ટાફે ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ડો.ચંદન નરવાણીનાં સુરત રહેતા ભાઇ નીતીનભાઇ તેના પરિવાર સાથે દિવાળી કરવા ભાવનગર આવ્યા હોય તે પણ આ બનાવમાં અસરગ્રસ્ત બન્યા છે.