વઢવાણના ફુલગ્રામની મહિલાનો વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેર પી આપઘાતનો પ્રયાસ
ચાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો: ધરપકડ કરવા તજવીજ
વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં રહેતા યુવાન અને તેના પિતાએ 4 શખ્સો પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જેમાં મુદ્દલ આપી દીધુ હતુ અને વ્યાજ બાકી હતુ. ત્યારે આ ચારેય શખ્સો મારવાની ધમકી આપતા યુવાનની માતાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા છે. બનાવની નાણાં ધીરધારની કલમો સાથે જોરાવરનગર પોલીસ મથકે 4 વ્યાજના ભુખ્યા વરૂઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં 26 વર્ષીય સુરેશ લક્ષ્મણભાઈ જીડીયા રહે છે. તેઓ હાલ ખેતી અને ડમ્પર ચલાવવાનું કામ કરે છે. એકાદ વર્ષ પહેલા તેઓએ ડમ્પર લીધુ હતુ. જેમાં રૂપિયા 2 લાખ રામપરાના વનરાજ કાનજીભાઈ વઢેલ પાસેથી 5 ટકા વ્યાજે લીધા હતા. આ રકમનું મુદ્દલ આપી દેવાયુ હતુ અને 55 હજાર વ્યાજના દેવાના બાકી છે. જયારે દોઢેક વર્ષ પહેલા રામપરાના રમેશ દલસુખભાઈ ખેર પાસેથી 1 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જેનું રૂપિયા 90 હજાર વ્યાજ ચુકવવાનું બાકી હતુ. નવેક માસ પહેલા સુરેશભાઈના પિતા લક્ષ્મણભાઈએ રામપરાના લાભુ ભીખાભાઈ પરમાર પાસેથી દોઢ લાખ રૂપિયા 5 ટકા વ્યાજે લીધા હતા.
જેમાં 40 હજાર વ્યાજ ચુકવવાનું બાકી હતુ. સુરેશભાઈએ ફાયનાન્સમાંથી લીધેલ ડમ્પરના હપ્તા ચડી જતા ફાઈનાન્સ કંપનીએ ડમ્પર સીઝ કરી લીધેલ હોય તેને છોડાવવા ફુલગ્રામના શૈલેષ રાણાભાઈ ગાબુ પાસેથી 2 લાખ રૂપિયા 15 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં 2 લાખ આપી દીધા બાદ 60 હજાર વ્યાજ બાકી હોય દરરોજના 2 હજાર માંગતા હતા. આ ચારેય શખ્સો અવારનવાર સુરેશભાઈને ધમકી આપતા હતા. તા. 24-9ના રોજ શૈલેષે સુરેશભાઈને મારા રૂપીયા લાવી નહીતર મારીશ તેવી ધમકી આપી હતી.
આ અંગેની જાણ સુરેશભાઈના માતા રંભાબેનને થતા તેઓએ આ ચારેયના સતત માનસિક ત્રાસથી કંટાળી અને પુત્રને મારવાની બીકે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેઓને સારવાર માટે તુરત જ સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવની ચારેય વ્યાજના ભુખ્યા વરૂઓ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.