પતિના અનૈતિક સંબંધથી કંટાળી ગળેફાંસો ખાઈ લેનાર પરિણીતાએ દમ તોડ્યો
રાજકોટ શહેરમાં ગુલાબનગરમાં માવતર બેઠેલી માંગરોળના શીલ ગામની પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં આવેલા ગુલાબનગરમાં માવતર અને માંગરોળના શીલ ગામે સાસરીયુ ધરાવતી હેતલબેન સાગરભાઇ ભરડા નામની 24 વર્ષની પરિણીતા ગુલાબનગરમાં રહેતા પોતાના પિતા કેશુભાઈના ઘરે હતી ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. હેતલબેન ભરડાને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં હેતલબેનના એક વર્ષ પૂર્વે સાગર ભરડા સાથે લગ્ન થયા હતા અને પતિ સાગર ભરડાને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાથી છેલ્લા નવ મહિનાથી હેતલબેન ભારડા માવતરે રીસામણે બેઠી છે. હેતલબેને પતિના આડા સબંધથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.