ઝાકળના લીધે જીરુંનો પાક નિષ્ફળ જવાની દહેશતથી ખેડૂતોમાં ભારે ચિંતા
ગયા વર્ષે જીરાના સારા ભાવ મળતા આ વર્ષે જામનગર પંથકમાં જીરુનું સૌથી વધારે વાવેતર થયું છે. એક તો પિયતની ઘટને લઈ જામનગરના મોટાભાગના ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યું છે. પરંતુ છેલ્લા ચારથી પાંચ દિવસથી જામનગરના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેને લઈને સમી સાંજથી માંડી વહેલી સવાર સુધી ગાઢ ધૂમમ્સ જોવા મળે છે. આ ઝાકળએ જીરુંના પાક માટે ઝેર જેવી સાબિત થતી હોવાથી ખેડૂતોએ આગમચેતીના પગલાં લેવા ખૂબ જ જરૂૂરી છે. અન્યથા જીરૂૂના પાક પર રોગચાળાની ભીતિ જોવા મળી રહે છે. ત્યારે આ મામલે ખેડૂતોએ કઈ સતર્કતા રાખવી તે અંગે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંત દ્વારા સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટિસ્ટ કે. પી. બારૈયાએ ખેડૂતોને માહિતી આપતા જણાવ્યું કે આ વખતની રવિ પાકની સિઝનમાં ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યું છે. જીરાના પાકમાં પાણીની ઓછી જરૂૂર પડે છે. જેથી ખેડૂતોએ આ વર્ષે જીરાના પાકનું વધારે વાવેતર કર્યું છે. જામનગરમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ભારે ઝાકળ વર્ષા થઈ રહી છે. તો હજુ પણ આગામી પાંચ દિવસ ઝાકળ વર્ષા થાય તેવી શકયતાઓ વાર્તાઇ રહી છે. ધુમ્મસને પરિણામે જીરુંના પાકમાં સુકારા સહિતના અનેક રોગો માથું ઉચકતા હોય છે જેથી અમુક કિસ્સાઓમાં જીરુંનો પાક સદંતર નાશ થવાની પણ નોબત આવતી હોય છે. આથી ધૂમમ્સના વાતાવરણ દરમિયાન ખેડૂતોએ બિલકુલ પિયત ન આપવું જોઈએ. જીરુમાં તો ઘણા સમય અગાઉ જ પિયત બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ મેથી, અજમો, ધાણા, સહિતના અન્ય પાકોમાં પણ ઝાકળ દરમિયાન પિયત કરવું જોઈએ નહીં! ઝાકળની ઋતુ દરમિયાન ખાસ બે થી ચાર દિવસના અંતરે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જેમાં સલ્ફર, હેગ્ઝાકોનાઝોલ અથવા કાર્બર ડેઝિંગ, મેટી રામ, જેવી દવાનો ફૂગનાશક દવા- છંટકાવ કરતા રહેવું. જો કોઈ ખેડુતના પાકને વધારે રોગ લાગ્યો હોય તો તેઓ હેવી દવાનો ડોઝ છાંટી શકે છે. જેમ કે ટેબુકોનાઝોલ, ફ્લોકસિકસ્ટોબીન જેવી દવાઓ છાંટી શકાઈ છે. મહત્વનું છે કે ગત વર્ષે જીરુંના 12,000 થી 14,000 જેવા ઐતિહાસિક ભાવ મળતા આ વર્ષે જીરૂૂનું સૌથી વધુ વાવેતર થયું છે. હવે રોગચાળાની ભીતિને લઈ ખેડૂતો મુંજાયા છે.