ખેડૂતો જરૂર પૂરતું ખાતર જ ખરીદે, સંગ્રહખોરી ન કરવા કૃષિમંત્રીની અપીલ
રાજ્યમાં ચોમાસાના પ્રારંભે જ પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે, સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી અટકાવવા માટે વિશેષ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાતર વિતરણ સંબંધિત ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂૂમ પણ કાર્યરત કરાયા છે. મંત્રીએ ખેડૂતોને જરૂૂર પૂરતું જ ખાતર ખરીદવા અને બિનજરૂૂરી સંગ્રહખોરી ન કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના 61 ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ખેતી માટે જરૂૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને જરૂૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળા બજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા-તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.