સ્વ.વિજયભાઈ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
વરસતા વરસાદે રાજમાર્ગો પર નીકળેલી અંતિમયાત્રામાં રાજકોટના સંવેદનશીલ જનનાયકને લોકોની અશ્રુભીની વિદાયરાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીને આજે રાજકોટ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અમદાવાદથી હવાઈમાર્ગે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેમના પાર્થિવ દેહને સડક માર્ગે ઘરે લઈ જવાયો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.
આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, ત્યારે અનેક લોકોએ રાજકોટના પનોતા પુત્ર અને સંવેદનશીલ જનનાયકને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાન ‘પુજીત’ ખાતે રાખવામાં આવ્યો હતો. અહીં અનેક મહાનુભાવો, જૈનાચાર્યો, ધાર્મિક, સામાજિક અગ્રણીઓ, સ્વજનોએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
બાદમાં સ્વ. વિજયભાઈના પાર્થિવ દેહને પૂરા રાજકીય સન્માન અને પોલીસ બેન્ડ સાથે પ્રકાશ સોસાયટીમાં આવેલા ધ્યાનશંકર મહાદેવના મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યો હતો. અહીં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. બાદમાં કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબહેન બાબરીયા, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સાંસદો સર્વ પરશોત્તમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરિયા, પૂનમબહેન માડમ, વિનોદ ચાવડા, રાજ્યના વિવિધ ધારાસભ્યઓ, અગ્રણી ડો. ભરત બોઘરા સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં આવેલા શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ, નગરજનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે રાજકોટમાં, ગુરુ-શુક્રવારે ગાંધીનગરમાં પ્રાર્થનાસભા
સ્વ. વિજયભાઈની પ્રાર્થનાસભા આજે મંગળવાર, 17 જૂન 2025 ના રોજ સાંજે 3.00 થી 6.00 વાગ્યા સુધી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે યોજાશે. ગુરુવાર, 19 જૂન 2025 ના રોજ સવારે 9.00 થી 12.00 વાગ્યા સુધી હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર ખાતે પરિવાર દ્વારા અને ગાંધીનગરમાં ભાજપ દ્વારા શુક્રવાર, 20 જૂન 2025 ના રોજ સાંજે 4.00 થી 6.00 વાગ્યા સુધી કમલમ, કોબા, ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા વિજયભાઈ રૂૂપાણી અને તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થનાસભા યોજાશે.