હાઇવે ઉપર ખાડા બૂરવાની કામગીરી કરાવતા ઇજનેરને ટેન્કરે કચડી નાખ્યા
માતાએ કાળી મજૂરી કરી પુત્રને ઇજનેર બનાવ્યો, અચાનક કાળની ક્રુર થપાટ
પાલનપુર હાઈવે પર આવેલ ગઠામણ પાટીયા પાસે ગઈકાલે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બનાસ ડેરીના દૂધના ટેન્કરે એક ઈજનેરને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. મૃતક ઈજનેર જીનેશ નીતિનભાઈ જોષી જે પાલનપુર શહેરની બ્રીજેશ્વર કોલોનીના રહેવાસી હતા અને RB વિભાગમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. તે ખાડા પુરવાની કામગીરી માટે સ્થળ પર ચકાસણી કરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ અને હતાશા ફેલાઈ છે. આ ઘટના બાદ માર્ગ પર તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.
પાલનપુરની બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા મૃતક જીનનેશભાઇના પિતા નીતિનભાઈ જોષીના લગ્ન લગભગ 30 વર્ષ પહેલાં નજીકમાં રહેતા પ્રહલાદભાઈ જોષીની દીકરી રૂૂપલ સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી જ રૂૂપલને સાસરીયામાંથી પિયરમાં પાછી મોકલી દેવામાં આવી હતી. પિતાના અવસાન પછી પિયરમાં પરિસ્થિતિ વધુ જ અઘરી બની હતી. એ સ્થિતિમાં પણ રૂૂપલે યથાશક્તિ પ્રયાસ કરીને પોતાના દીકરાને ભણાવ્યો અને એન્જિનિયર બનાવ્યો હતો. જોકે, જીવનની સતત પડકારસભર પરિસ્થિતિઓના કારણે તે માનસિક રીતે અસંતુલિત બની ગઈ અને અંતે પિયરમાં જ પોતાનું જીવન વિતાવવું પડ્યું હતું.
દીકરાએ GPSCની પરીક્ષા પાસ કરીને રાજ્ય સરકારના RB વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરી મેળવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પાલનપુર-અમદાવાદ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે વાહન વ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી. જેથી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર વર્ક આસિસ્ટન્ટ જીનેશ નીતિનભાઈ જોષી કોન્ટ્રાક્ટર સાથે મળીને ખાડા પુરાવાનું કામ નિહાળી રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવતા બનાસ ડેરીના દૂધના ટેન્કરે તેમને અચાનક ટક્કર મારી, અને તેઓ ખસે એ પહેલા જ ટેન્કરના ટાયર નીચે આવી ગયા હતા. આશરે 15 ફૂટ સુધી ટેન્કર સાથે ઢસડી ગયા અને સમગ્ર શરીર ચગદાઈ જતાં ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.