સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે વૃદ્ધનો મૃતદેહ રઝળ્યો
રેલવે સ્ટેશનમાંથી બેભાન મળેલા વૃદ્ધના પરિવારજનો લાશ રેઢી મૂકી ભાગી ગયા : વૃદ્ધના મોત અંગે હોસ્પિટલના સ્ટાફે 26 દિવસ સુધી પોલીસને જાણ નહીં કરી બેદરકારી દાખવી
કોઈ કારણસર અવાર નવાર વિવાદમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે 26 દિવસથી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક વૃદ્ધનો મૃતદેહ રઝળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ થયેલા વોર્ડ ઈન્ચાર્જ દ્વારા મૃતદેહ અંગે હોસ્પિટલના પોલીસ સ્ટાફને જાણ કરવામાં આવી ન હતીં. તો બીજી તરફ આ વૃદ્ધના પરિવારજનો પણ હોસ્પિટલે મૃતદેહ મકીને ભાગી ગયા હોય જેના કારણે હવે હોસ્પિટલનું તંત્ર પણ મુંજ્વણમાં મુકાયું છે. આ વૃદ્ધની બિનવારસુ તરીકે અંતિમ વિધિ કરવા માટે પણ પોલીસને જાણ કરવી જરૂરી છે. ત્યારે 26 દિવસ પૂર્વે મૃત્યુ પામેલા વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોટર્મ રૂમ ખાતે હાલ રાખવામાં આવ્યો છે. રાજકોટની પીડીયુ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે હોસ્પિટલ વિવાદમાં આવી હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગરીબ દર્દીઓ જ્યાં સારવાર લેવા આવે છે ત્યાં હોસ્પિટલના તંત્ર દ્વારા માનવતા નેવે મુકીને આવા દર્દીઓને રઝડાવી અને હેરાન કરવામાં આવે છે.
ભૂતકાળમાં પણ એક વૃદ્ધાની સારવારમાં બેદરકાર હોસ્પિટલના તબીબો સામે પગલા ભરવામાં આવ્યા હતાં. વધુ એક વખત હોસ્પિટલનું તંત્ર વિવાદમાં આવ્યું છે. રાજકોટના રેલવે સ્ટેશનેથી ગત તા. 19-4-2025ના રોજ સવારે 11:45 કલાકે એક વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. આ વૃદ્ધના કોઈ વાલીવારસદાર ન હોય તેમને બીનવારસુ તરીકે દાખલ કરવામાં આવ્યા હતાં. ટીબી વોર્ડ નં. 7 માં દાખલ આ વૃદ્ધના પરિવાર અંગે હેલ્થડેસ્ક દ્વારા માહિતી મેળવતા આ વૃદ્ધનું નામ કનકભાઈ મનાભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સારવારમાં દાખલ કર્યાના ગણતરીના કલાકોમાં 19-4-2025ના બપોરે 1:30 કલાકે આ વૃદ્ધનું મોત થયું હતું. આ વૃદ્ધના પરિવારજનો તેમને રેઢા મુકીને હોસ્પિટલેથી જ ભાગી ગયાહોય બીજી તરફ મૃત્યુ પામેલા વૃદ્ધ અંગે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ દ્વારા પોલીસ ચોકીને જાણ કરવામાં આવી ન હતી.
જેના કારણે આ વૃદ્ધ બીનવારસુ હાલતમાં હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે તેમનો મૃતદેહ છેલ્લા 26 દિવસથી રઝડી રહ્યો છે ે અને હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જરૂરી કાગળો કરાય છે. કનકભાઈના મૃત્યુ બાદ 26 દિવસ સુધી હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસ ચોકીને જાણ કરવામાં નહીં આવતા હવે મૃતદેહના અંતિમવિધી બાબતે હોસ્પિટલ તંત્ર ઉંધા માથે થયું છે. અને આ ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફની બેદરકારી હોવાનું સામે આવતા આ મામલે તેની સામે પણ પગલા લેવા માટે તબીબી અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો છે.