મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુ
સલાયાના યુવાનનો પગ લપસી જતા કુવામાં પટકાતા મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના નામના 72 વર્ષના વેપારી વૃદ્ધ તા. 25 નવેમ્બરના રોજ તેમના જી.જે. 37 એલ. 9865 નંબરના જ્યુપીટર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 વી. 1010 નંબરના એક ટ્રકના ચાલકે સ્કૂટર સવાર ધીરજલાલ તન્નાને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ ધીરજલાલ તન્ના (ઉ.વ. 40, રહે. સુરજકરાડી)ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે.
દારૂૂ
ભાવનગરના વડવા વિસ્તારમાં જ્યોતિ ફ્લેટ ખાતે રહેતા મનીષભાઈ બચુભાઈ પરમાર નામના 30 વર્ષના યુવાનને દારૂૂ પીવાની ટેવ હોય, અને નશાની હાલતમાં સોમવારે દ્વારકાના ઇસ્કોન ગેઈટથી મંદિર તરફ જતા રસ્તે આ યુવાન રોડ પરથી નીચે પડી જતા કે અન્ય કોઈ ઠોકર લાગતા તેમને ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના મોટાભાઈ સન્નીભાઈ બચુભાઈ પરમાર (ઉ.વ. 32, રહે. ભાવનગર) એ દ્વારકા પોલીસને કરી છે.
કૂવો
સલાયા નજીક આવેલા આથમણા બારા ગામે ગત તા. 30 નવેમ્બરના રોજ અર્જુન પ્રદીપકુમાર ખામરા નામના 30 વર્ષના યુવાન કુવામાં પાણી ભરવા જતા અકસ્માતે પગ લપસી જતા કૂવામાં પડી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ કરણ પ્રદીપકુમાર ખામરા રાજપૂત (રહે. તા. કિશનગઢ, જિ. અલવાર) એ સલાયા મરીન પોલીસને કરી છે.