નંદનવન સોસાયટીમાં વૃદ્ધ દંપતીએ સજોડે એસિડ પીધું: પતિનું મૃત્યુ
- જવલનશીલ પ્રવાહી પીધા બાદ પતિ-પત્નીએ દેકારો કરતા એકઠા થયેલા પાડોશીએ પુત્રને જાણ કરતા સારવારમાં ખસેડાયા
શહેરમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીએ કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું જેમાં પતિએ સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નંદનવન સોસાયટીમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે રહેતા નરશીભાઈ ચનાભાઈ વડાલીયા (ઉ.વ.65) અને તેમના પત્ની લીલાબેન નરશીભાઈ વડાલીયા (ઉ.વ.66) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં સજોડે એસિડ પી લીધું હતું દંપતીને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે જ નરશીભાઈ વડાલીયાએ ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નરશીભાઈ વડાલીયા અને લીલાબેન વડાલીયાને સંતાનમાં એક પુત્ર છે પુત્ર ગઈકાલે કારખાને ગયો હતો અને તેની પત્ની શિલ્પાબેન કાકાજી સસરાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયા હતા ત્યારે બંને વૃદ્ધ દંપતિ ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર સજોડે એસિડ પી લીધું હતું અને બાદમાં દંપતીએ દેકીરો કરતા પાડોશી એકઠા થઈ ગયા હતા અને પાડોશી દ્વારા તેના પુત્રના સાળાને જાણ કરતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે છે નરશીભાઈ વડાલીયાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી સજોડે એસિડ પીવા પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.