For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુર પંથકમાં ભારે વરસાદને કારણે મગફળીના પાથરા તણાયા

11:19 AM Oct 14, 2024 IST | Bhumika
વીરપુર પંથકમાં ભારે વરસાદને કારણે મગફળીના પાથરા તણાયા
Advertisement

ગતરાતનું માવઠું યાત્રાધામ વીરપુર પંથકના ખેડૂતો માટે આફત બનીને આવ્યો હતો. પંથકના પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં એક કલાકમાં વાદળું ફાટ્યું હોય તેવો વરસાદ વરસતા ખેતરમાં તૈયાર મગફળીના પાથરા તેમજ સોયાબીન તણાઈ ગયા,ભારે પવનને કારણે કપાસ ભાંગી ગયો. ખેડૂતો પાસે હવે કઈ બચ્યું ન હોવાથી શિયાળું પાકનું વાવેતર પણ મુશ્કેલ બન્યું છે.જેથી સરકાર નુક્શાનીનો તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. વીરપુર પંથકમાં ગતરાતનું માવઠું આફત બનીને આવ્યું હતું. વાદળું ફાટ્યું હોય તેટલો વરસાદ એક કલાકમાં જ વરસતા પીઠડીયા અને કાગવડ ગામની સીમ વિસ્તારની અંદાજીત 400 થી 500 વિઘા જમીનનો મગફળી, કપાસ, સોયાબીન તૈયાર થઈ ગયેલ પાક વરસાદી પાણીમાં તણાઈ ગયો અને બચ્યો તે ભારે પવનમાં ભાંગી ગયો હતો.

સીમ વિસ્તારના ખેતરોમાં હજુ ગોઠણ ડૂબ પાણી ભરેલા છે અને તેમાં મગફળીના બચ્યા કુચ્યા તૈયાર પાથરા વેરવિખેર પડેલ છે. અને આવા ખેતરોમાં હાલ અંદર જઈ શકાય તેવી શકયતા નથી. જેથી ખેડૂતોની પોતાની નજર સામે પોતાનો તૈયાર પાક સડતા જોવો પડી રહ્યો છે અને ગતરાતે મોટાભાગના ખેતરોમાં તૈયાર મગફળી ખેતરોના કાઢીયામાં તણાઈ અને ચારથી પાંચ કિમી દૂર નાલામાં વહી ગઈ છે. જેમાં ખેડૂતો તેમજ તેના ખેત ભાગીયાઓ તણાઈ ગયેલ મગફળી પાકના પાથરા વિણવા મજબૂર બની જે કઈ પાક હાથમાં આવે તેવો પ્રયત્ન કરી રહ્યા છે.
આ અંગે પીઠડીયાના ખેડૂત હકુભાઈ ગોંડલીયા તેમજ મહેન્દ્રભાઈએ જણાવેલ કે અમે ખેતરના કાઢીયાના પાણીમાંથી તણાઈ ગયેલ મગફળીના પાથરા નાલામાં વિણીને જે કઈ મજૂરીના નીકળે તેનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમોએ તો ખેડૂત સાથે ભાગમાં ખેતર વાવવા રાખ્યું હોય એટલે અમારે જે ઉપજ થાય તેમાંથી ભાગ લેવાનો હોય. પાક તો થયો પરંતુ માવઠામાં તણાઈ જતા અમારે તો છેલા ત્રણેક મહિનાની કાળી મહેનતનું વણતર તણાઈ ગયું. હવે અમારે શું કરવું જ્યારે જેનું ખેતર છે તે હકુભાઇ ગોંડલીયાએ જણાવેલ કે, અમારો તો મગફળીનો તમામ પાક તણાઈ ગયો હવે અમારે શિયાળું પાકનું વાવેતર કેમ કરવું કેમ કે અમારી પાસે જે કઈ બચત હતી તે આ વખતે પાકની માવજતમાં વપરાય ગઈ. એટલે અમારે હવે તો શિયાળું પાકનું વાવેતર પણ કેમ કરવું તે એક પ્રશ્ન ઉભો થયો છે. જેથી સરકાર તાત્કાલિક અમારી નુક્શાનીનો સર્વે કરી સહાય કરે તો જ અમો શિયાળું પાકનું વાવેતર કરી શકીશું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement