ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે ચાર્જ સંભાળતા રાજકોટના ડો.ભરત રામાનુજ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના 15માં કુલપતિ પદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના ડો.ભરત રામાનુજ પર પસંદગીનો કળશ ઢોળતાં ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી ચાલતાં વહિવટનો અંત આવ્યો છે. નવનિયુક્ત કુલપતિ આજે સોમવારે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીસતત ત્રણ વર્ષથી ઈન્ચાર્જ કુલપતિથી ચાલી રહી હતી. જો કે, યુનિ.એ ત્રણ વર્ષમાં સતત ત્રણવખત સર્ચ કમિટી બનાવીને 15માં કુલપતિની પસંદગીમ માટે તમામ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઇને કોઇ કારણોસર કુલપતિની વરણીનો પ્રશ્ન હલ થતો ન હતો. સર્ચ કમિટી દ્વારા તબક્કાવાર ત્રણ વખત ત્રણ-ત્રણ નામોનું બંધ કવર સુપ્રત કર્યું હોવા છતાં એક યા બીજા કારણોસર અટકેલી નિમણૂકને લઇ અનેક અટકળો ચાલી રહી હતી જેના પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. સરકારના શિક્ષણ વિભાગે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ના શિક્ષણશાસ્ત્રમાં લાંબા સમયથી કાર્ય સાથે સંકળાયેલા, વિદ્યાર્થી પરિષદ અને સંઘના પણ કાર્યકર રહેલા તેમજ ડીન, હેડની સાથો સાથ સીંડીકેટ મેમ્બર રહી ચુકેલા એવા ડો.ભરત રામાનુજની મ.કૃ.ભાવ. યુનિ.ના 15માં કુલપતિ પદ માટે પસંદગી કરી છે.આજે તા.21ને સોમવારે તેઓ યુનિવર્સિટીના 15માં કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ પદ માટે ત્રણ દાવેદારોમાં અન્ય બે દાવેદારો ભાજપના ટોચના નેતાઓના નજીકના શિક્ષણવિદ્દ હતા જેમનું છેલ્લી ઘડી સુધી એડી ચોંટીનું જોર રહ્યું હતું. જો કે, નવનિયુક્ત કુલપતિને સંઘનું મજબૂત પીઠબળ હોવાથી તેમને આ પદ મળ્યું હોવાનું કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે. તેમની આગેવાનીમાં આગામી પદ્દવીદાન સમારોહ યોજાશે.
મ.કૃ. ભાવનગર યુનિવર્સિટીના નવા નિમાયેલ કુલપતિ ડો. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે તેઓ એકેડેમીક, એડમિનિસ્ટ્રેશન અને એકઝામિનેશન પર વધુ પ્રાધાન્ય આપશે. અને વધુ શ્રેષ્ઠ કામગીરી સહિયારા પ્રયાસથી કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં હાલની જરૂૂરિયાત પ્રમાણેના નવા કોર્સ શરૂૂ કરવા પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે કામને જ એટલું પ્રાધાન્ય આપીએ કે નેકનો સારો ગ્રેડ મળે.