For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTE હેઠળ થયેલા પ્રવેશના આંકડામાં વિસંગતતા

06:06 PM Jun 30, 2025 IST | Bhumika
rte હેઠળ થયેલા પ્રવેશના આંકડામાં વિસંગતતા

Advertisement

રાજ્યમાં ચાલુ વર્ષે રાઈટ ટુ એજ્યુકેશન (RTE ) એક્ટ અંતર્ગત થયેલા પ્રવેશના આંકડાઓમાં ભારે વિસંગતતા સામે આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીના ત્રણ રાઉન્ડ પછી 87 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાં 95 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

ચાલુ વર્ષે RTE માં પ્રવેશ માટેની કુલ બેઠકો જ 94798 જેટલી હતી, છતાં 95494 પ્રવેશ કઈ રીતે થયા તે એક મોટો પ્રશ્ન છે. માત્ર વાહવાહી લૂંટવા માટે ખોટા આંકડાઓ જાહેર કરાયા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. આમ, પ્રવેશના આંકડાઓમાં 8 હજાર વિદ્યાર્થીઓનો તફાવત આવી રહ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE ) અંતર્ગત રાજ્યની 9814 ખાનગી શાળાની 94798 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રવેશના પ્રથમ અને બીજા રાઉન્ડમાં 93270 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલીઓને જે તે સ્કૂલમાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવા માટે સુચના આપી હતી. પ્રવેશ ક્ધફર્મ કરાવવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને પ્રક્રિયાના મળી કુલ 85744 વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં જઈ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આમ, બે રાઉન્ડની કાર્યવાહી બાદ મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હતી.

Advertisement

ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા 6 જૂનના રોજ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ જાહેર કર્યો હતો. જેમાં વધુ 2231 જેટલા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત જે તે સ્કૂલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. ત્રીજા રાઉન્ડના વિદ્યાર્થીઓને 13 જૂન સુધીમાં જે તે સ્કૂલમાં જઈને પ્રવેશ ક્ધફર્મ કરાવવાની મુદ્દત આપવામાં આવી હતી. જોકે, ત્રીજા રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો તેની વિગતો તથા ચોથા રાઉન્ડની કોઈ જાહેરાત હજુ સુધી કરાઈ નથી. આમ, ત્રીજા રાઉન્ડમાં ફાળવાયેલા તમામ વિદ્યાર્થીઓએ પણ જો પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા હોય તો કુલ 87975 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હોવા જોઈએ.

દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક અખબારી યાદી જાહેર કરી હતી, જેમાં RTE અંતર્ગત ચાલુ વર્ષે 95494 વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હોવાનું જણાવાયું હતું. જોકે, શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે જે બેઠકો જાહેર કરી હતી તે બેઠકોની સંખ્યા જ 94798 હતી અને ત્રણ રાઉન્ડનાં અતે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 87975 જેટલી હતી. ત્યારે સરકારે 95 હજારનો આંકડો જાહેર કર્યો તે ક્યાંથી આવ્યો તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારને આંકડા અપાયા હોય તો તેમાં વિસંગતતા જણાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement