શિરડીના સાંઈબાબાના દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓનો નાસિકમાં અકસ્માત, ત્રણના મોત, ચાર ઘાયલ
શિરડીના સાંઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના યુવાનોને નાસિક નજીક અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી હતી અને આ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. જયારે ચાર યુવકને ઈજા થતાં સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.
મળતી માહિતી અનુસાર, સુરતના સાત યુવકોદર્શન કરીને નાસિકથી સુરત પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન નાસિકના યેવલા તાલુકાથી પસાર થતા દરમિયાન ડ્રાઇવરે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.એમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. . સ્થાનિકોએ ખૂબ જ મુશ્કેલીથી તેમને બચાવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક ખસેડ્યા હતાં.
આ અકસ્માતમાં જે યુવાનોના મોત થયાં છે તેમની ઓળખ સામે આવી છે. આ યુવાનો સ્કૂલ બસ કોન્ટ્રેક્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા. મૃતક અને ઘાયલ યુવકોમાં વિક્રમ ઓસવાલ અને તેમની ટીમનો સમાવેશ થાય છે. યુવાનોના અકસ્માત થતાં પરિવારમાં મોટામ છવાયો છે. પોલીસે અકસ્માતની નોંધ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
