સાળંગપુરમાં ભક્તિરંગથી તૃપ્ત થતાં ભાવિકો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે ભવ્ય રંગોત્સવ યોજાયો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદના વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધુળેટી પર્વને લઈને સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજવામાં આવ્યો. જ્યાં 51 હજાર જેટલા નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ પર આશરે 70થી 80 ફુટ ઉંચાઈએથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર છંટકાવ કરવામાં આવ્યો હતો.
યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે 10 હજાર કિલો જેટલા કલરને એર પ્રેશરથી ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતા. આ સાથે ઉત્સવમાં 50થી વધારે નાસીક ઢોલના લાવવામાં આવ્યા હતા જેની સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાત સહિત 11 દેશના ભક્તોએ રંગોત્સવમાં ભાગ લીધો હતો. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ રંગોત્સવમાં ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાયા હતા. આ રંગોત્સવ કાર્યક્રમમાં 11થી વધુ દેશના ભક્તો સહભાગી બન્યા હતા અને રંગે રંગાયા બાદ ભક્તોએ પરિસરમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
