દેવાયત ખવડનો ગીરમાં મોરેમોરો, કિયા કાર ઉપર ફોર્ચ્યુનર ચડાવી દીધી
છ માસ પૂર્વે અમદાવાદમાં થયેલા ડખ્ખાનો ખાર રાખી ચિત્રોડા ગામ પાસે ફિલ્મી ઢબે ટક્કર મારી, ઘવાયેલા ધૃવરાજસિંહ ચૌહાણને દેવાયત સહિતના શખ્સોએ ધોકાવાળી કરી
ડાયરાના વિવાદિ કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. છ માસ પહેલા અમદાવાદમાં ચૌહાણ પરિવાર સાથે લોકડાયરાના થયેલા ડખાનો ખારરાખી આજે સાસણ ગિરમાં ચિત્રોડ ગામ નજીક કિયા કાર સાથે ફિલ્મી ઢબે ફોર્ચ્યુનર કાર અથડાવ્યા બાદ કારમાં સવાર અમદાવાદના ધૃવરાજસિંહ ચૌહાણ નામના યુવકને દેવાયત તથા તેની સાથેના માણસોએ ધોકાવાળી કર્યા બાદ નાસી ગયાના આયેપથી સનસનાટી મચી જવા પામી છે.
આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને નાસી છુટેલા દેવાયત ખવડ સહિતના શખાસોને પકડવા નાકાબંધી કરાવી છે.
લોકડાયરાના કલાકાર અને અવારનવાર વિવાદમાં આવતાં દેવાયત ખવડ વધુ એકવખત વિવાદમાં સપડાયા છે. છ મહિના પૂર્વે થયેલી માથાકુટનો ખાર રાખી દેવાયત ખવડ અને તેના સાગ્રીતોએ સાસણગીરના ચિત્રોડ ગામ નજીક કિયા કાર સાથે ફોચ્યુર્અનર અથડાવીને મારામારી કરી હતી. ઈજાગ્રસ્ત ધૃવરાજસિંહ રાજચંદ્ર ચૌહાણ (રહે. સનાથલ, અમદાવાદ)ને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના સનાથલમાં રહેતાં ધૃવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ મિત્રોે સાસણના ચિત્રોડ નજીક ક્રિષ્ના હોટલમાં રોકાયા હતાં.
ધૃવરાજસિંહએ પોતે સાસણમાં હોય તેવું સ્ટેટસ મુકયું હોય ત્યારે દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગત તા.20 ફેબ્રુઆરીના રોજ દેવાયત ખવડના ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર નહી રહેતાં તેની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભગવતીસિંહ ચૌહાણ, ધૃવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ અને મેઘરાજસિંહ ચૌહાણ સહિતનાઓ વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. સામાપક્ષે ભગવતસિંહએ દેવાયત ખવડ સામે આઠ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા છ મહિનાથી ચાલતી માથાકુટમાં અંતે દેવાયત ખવડે તેના સાગ્રીતો સાથે મળી વળતો જવાબ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે તે વખતે દેવાયત ખવડની કારમાં તોેડફોડ થઈ હોય તે વખતે ધૃવરાજીસિંહ અને તેના ભાઈ મેઘરાજસિંહનું નામ આવ્યું હતું. ત્યારે દેવાયત ખવડે ભગવતસિંહને તેનો બદલો લેવા ખુલ્લી ધમકી આપી હતી. છેલ્લા ઘણા વખતથી ચાલતા ઝઘડામાં અંતે દેવાયત ખવડે આજે તેના સાગ્રીતો સાથે મળી ફોર્ચ્યુનર કાર પુરપાટ ઝડપે દોડાવી ધૃવરાજસિંહની કિયા કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ તેની સાથેના માણસોએ ધૃવરાજસિંહ ઉપર ધોકાવાળી કરી ફરાર થઈ ગયા હતાં.
આ મામલે પોલીસને જાણ થતાં પીએસઆઈ જે.એન.ગઢવી સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. દેવાયત ખવડ અગાઉ પણ રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવાન ઉપર હુમલો કરવાના પ્રકરણમાં વિવાદમાં આવ્યુ છે તેમજ લોકડાયરાના કલાકારા બ્રિજરાજ ગઢવી સાથે પણ વિવાસદના કારણે ચર્ચામાં આવ્યો હતો.